Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં રખડતાં ઢોરનો મુદ્દો, આ પશુઓને કારણે નીપજતાં લોકોનાં મોત – વર્ષોથી ગંભીર મુદ્દો છે. વડી અદાલતે એક કરતાં વધુ વખત આ મુદ્દે સરકારની ચામડી કડક શબ્દો વડે ઉતરડી નાંખી છે, આમ છતાં રાજય સરકાર આજની તારીખે આ મુદ્દે ગંભીર ન હોય, વડી અદાલતે વધુ એક વખત સરકારને અતિશય આકરાં શબ્દો કહ્યા.
હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું : શું તમને નાગરિકોનાં જીવની કાંઈ પડી છે કે નહીં ? જો તમારો પ્રથમ હેતુ નાગરિકોનું હિત અને એમનું જીવન જ હોય, તો રખડતાં ઢોર મુદ્દે શા માટે કાયદાનો અમલ કરાવવામાં આવતો નથી ? શા માટે ગાઈડલાઈન બનાવતાં નથી ? શું તમે કોઈ નીતિ ઘડવા માંગો છો ? સરકાર આ સમસ્યાનું ‘કાયમી’ નિરાકરણ લાવવા ઈચ્છે છે કે કેમ ? રખડતાં ઢોરને કારણે લોકો પોતાનો જીવ ગુમાવે, એ બાબત સરકારને સામાન્ય લાગે છે ?! જે કુટુંબ આ અકસ્માતમાં પોતાનો સભ્ય ગુમાવે, તેઓની પીડાનો સરકારને અહેસાસ છે ? અમને નથી લાગતું કે સરકારને કાંઈ પડી હોય, અન્યથા આવી દુર્ઘટનાઓ બને ?!
સરકારે ગત્ 18મી ઓક્ટોબરે હાઈકોર્ટમાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ખાતરી આપી હતી કે, આ મુદ્દે નક્કર નીતિ અથવા પ્રસ્તાવ લાવવામાં આવશે. તેનું શું થયું ? પ્રસ્તાવ ક્યાં છે ? અદાલત આ મુદ્દે ચોક્કસ ગાઈડલાઈન ઈચ્છે છે, પછી તે ઠરાવ હોય કે પ્રસ્તાવ કે પરિપત્ર. મહાનગરપાલિકાઓ આ મુદ્દે કશું કરે એવું લાગતું નથી. તેથી હવે રાજય સરકારની જવાબદારી બને છે કે, તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ માટે ચોક્કસ ગાઈડલાઈન સાથેનો ઠરાવ અથવા પરિપત્ર અદાલત સમક્ષ મૂકે. અત્રે ઉલ્લેખનીય છે કે, રખડતાં ઢોર મુદ્દે અમદાવાદમાં એક અરજદારે અદાલતની અવમાનનાની અરજી કરી હતી. જેની સુનાવણીમાં અદાલતે સરકારને આ બધી બાબતો સ્પષ્ટ શબ્દોમાં કહી. વડી અદાલતે ત્યાં સુધી કહ્યું કે, લોકો ઢોર અકસ્માતમાં જીવ ગુમાવે છે તો પણ સરકારનો અંતરાત્મા સરકારને ડંખતો નથી ?!