Mysamachar.in-જામનગર:
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા છે. એવામાં રાજ્યના સરકારી શાળાના શિક્ષકોને લઈને પાટીલે જાહેરમંચ પરથી કરેલ નિવેદન ફરી વખત ચર્ચામાં આવ્યું છે. નવસારીમાં ભારતીય જનતા પાર્ટીના યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા રાજ્યના સરકારી શિક્ષકો મુદ્દે વિવાદિત નિવેદન કરવામા આવ્યું હતું. પાટીલે કહ્યું હતું કે, શિક્ષકો પગાર વધારો, મોંઘવારી ભથ્થા અને રજાના લાભની ચિંતા કરતા થઈ ગયા છે. પોતાની જવાબદારી છે તે ધીમે-ધીમે ભૂલી રહ્યા છે.શિક્ષક પોતે ગુરુજી છે તે વાત તેના મનમાં ઉતારવા માટે આગામી દિવોસમાં રાજ્યમાં કાર્યક્રમોનું આયોજન કરાશે.
પાટીલે કહ્યું હતું કે, શિક્ષકોએ કર્મચારી નથી, સમાજમાં તેને ગુરુનું સ્થાન છે, તેના પર આવતીકાલના નાગરિક તૈયાર કરવાની જવાબદારી છે.રાજ્યમાં આગામી દિવસોમાં શિક્ષકો માટે એક કાર્યક્રમનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં શિક્ષકોને હાજર રાખીને તેઓનું સન્માન કરવામા આવશે. સાથે તેઓ એક કર્મચારી નથી પણ સમાજમાં તેઓને ગુરુનું સ્થાન છે. જેથી તેઓને ગુરુ હોવાની યાદ અપાવી કામ કરવા અપીલ કરાશે, પાટીલના આ નિવેદન બાદ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ મામલે સી.આર.પાટીલને પત્ર લખી તેમના દ્વારા શિક્ષકો માટે કરવામાં આવેલ નિવેદન પરત લેવા માંગ કરવામાં આવી છે,
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સી.આર.પાટીલને લખવામાં આવેલ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સમગ્ર શિક્ષક સમાજ માટે શિક્ષકોના શિક્ષકત્વને ઠેસ પહોંચે તે રીતે નિવેદન કરવામાં આવેલ છે. જે બાબતને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સખત શબ્દોમાં વખોડે છે.જ્યારે જ્યારે રાજ્ય કે રાષ્ટ્રમાં આપત્તિ સર્જાઈ છે ત્યારે શિક્ષકો સૌથી પહેલા સેવામાં અગ્રેસર રહ્યા છે. કોરોનાના સમયે બ્લડ ડોનેશન કેમ્પ, અનાજ વિતરણ, સેલ્ટર હોમ, કોવીડ હોસ્પિટલો પર પણ ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકેની સેવાઓ આપી છે. કોરોનાના સમયે શિક્ષકોએ બાળકોને ઘરે ઘરે જઈ હોમલર્નિંગ અને સાધનોની અસુવિધાઓ વચ્ચે પણ ઓનલાઈન શિક્ષણની કામગીરી પણ કરી જ છે. તેમ છતાં શિક્ષકો માટે આ પ્રકારના નિવેદનો કરવા એ યોગ્ય નથી.
જેથી આપના દ્વારા આપવામાં આવેલ નિવેદન પરત લેવામાં આવે તથા શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવામાં તથા કેન્દ્રના ધોરણે આપવાપાત્ર થતા આર્થિક લાભો આપવા માટે આપના દ્વારા હકારાત્મકતા દર્શાવવામાં આવે તેમજ શિક્ષકોને શિક્ષણ સિવાયની તમામ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તેમજ શિક્ષકોના પ્રશ્નો ઉકેલવામાં આપ મદદરૂપ બનો એવી વાત પણ આ લેટરમાં ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતીશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.