Mysamachar.in-ગાંધીનગર:
આગ અકસ્માત જેવી દુર્ઘટના ન બને તે માટે કારખાનાઓએ ફાયર સેફટી સવલત વસાવી તે માટે એનઓસી લેવુ તેમજ જોખમી સાધનો ફીટ છે તે અંગે પણ ઇન્સ્પેક્શન કરાવી લેવુ કાયદા મુજબ ફરજીયાત છે, કારખાના અગ્નિ નિવારણ અને સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ, 2013 અને તે અન્વયેના ગુજરાત અગ્નિ નિવારણ અને સુરક્ષા ઉપાય વિષયક નિયમો, 2014 અને ગુજરાત અગ્નિ નિવારણ અને સુરક્ષા ઉપાય વિષયક વિનિયમો-2016 અન્વયે કારખાના ધારા હેઠળ નોંધાયેલ દરેક કારખાનાઓમાં ફાયર એન.ઓ.સી. મેળવવાની જોગવાઈ થયેલ છે માટે દરેક કારખાનેદારે ફાયર એન.ઓ.સી. (N.O,C) મેળવવી જરૂરી છે,
આ અંગે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગે ઠરાવ કર્યો છે કે કારખાનેદારોએ કારખાનાનાં નવા લાઈસન્સ માટે અરજી કરે ત્યારે સક્ષમ અધિકારી પાસેથી ફાયર એન.ઓ.સી મેળવીને લાયસન્સની અરજી સાથે અચૂક રજુ કરવાનું રહેશે તેમજ કારખાનેદારે કારખાનાનું લાયસન્સ રીન્યુ કરાવતી વખતે અરજી સાથે સક્ષમ અધિકારી પાસેથી ફાયર એન.ઓ.સી. મેળવીને રજુ કરવાનું રહેશે. હાલ જે કારખાનેદારો પાસે ફાયર એન.ઓ.સી નથી તેઓએ તાત્કાલિક સક્ષમ સત્તાધિકારી પાસેથી ફાયર એન.ઓ.સી મેળવવાનું રહેશે અને તેની જાણ સંબંધિત જીલ્લા કક્ષાએ નાયબ કે મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાથ્યને કરવાની રહેશે અને તેની એક નકલ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાથ્યની કચેરી, અમદાવાદને રજુ કરવાની રહેશે.
ફાયર એન.ઓ.સી. આપતી વખતે અગ્નિ નિવારણ અને સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ, 2013, તેના નિયમો અને વિનિયમો હેઠળ નિમાયેલ સક્ષમ અધિકારી દ્વારા આ કાયદાની જોગવાઇઓ તથા પરિપત્રનું પણ પાલન થાય છે કે નહી તેની ખાતરી કરવાની રહેશે. કેમકે એક તરફ કારખાનામા આગ અકસ્માત થાય તો મજુરો અને કર્મચારીઓ માટે જોખમી બાબત બને જે ન થવુ જોઇએ તેમજ કારખાના આગ અકસ્માતથી આજુબાજુના દુકાન કેન્ટીન કારખાના રોડ વાહનો માણસો વગેરે માટે પણ જોખમ ઉભુ થાય છે માટે મજુરોની અને જાહેર સલામતી માટે કારખાનામા સલામતી વ્યવસ્થા ફરજીયાત બનાવાયુ છે.