Mysamachar.in:જામનગર
જામનગર શહેરનો કચરો એકત્ર કરીને ગાંધીનગર વિસ્તારમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતે મોકલવામાં આવે છે. ત્યાં જે કચરાને ટ્રીટમેન્ટ આપી શકાતી નથી, તે વધારાનાં કચરાને (ભંગારને) પ્રોસેસ કરવા માટે કોર્પોરેશન ગુલાબનગરનાં કચરા પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે મોકલે છે. જેમાંથી ખાતર પણ બને છે. આ ખાતર પાર્ટી વેચાણ કરે છે. અને કોર્પોરેશનને અમુક રકમ આપે છે. એ પ્રકારની ગોઠવણ કાગળ પર કરવામાં આવી છે. જેને લીગેસી વેસ્ટ મેનેજમેન્ટ કહેવામાં આવે છે. આ પ્લાન્ટ ગુલાબનગરનાં કચરા ડમ્પ પોઈન્ટ ખાતે આવેલો છે, જે હાલ બંધ છે. અને, વિવાદમાં પણ છે.
જામ્યુકોનું રેકર્ડ કહે છે કે, ડમ્પ પોઈન્ટ ખાતેનો આ પ્લાન્ટ જાન્યુઆરી-2022 માં શરૂ થયો. બિપરજોય વાવાઝોડાં સમયથી આ પ્લાન્ટ બંધ છે. કોર્પોરેશનનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ આ પ્લાન્ટની કામગીરી પર દેખરેખ રાખે છે. આ વિભાગ કહે છે : આ પ્લાન્ટમાં અત્યાર સુધીમાં 97,000 ટન કચરો પ્રોસેસ કરવામાં આવ્યો છે. અને, તે કામ બદલ કોન્ટ્રાક્ટર પાર્ટીને કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં રૂ.80,78,963 નું ચૂકવણું કરવામાં આવ્યું છે.
કચરો પ્રોસેસ કરવા કોન્ટ્રાક્ટર પાર્ટીને પ્રતિ ટન રૂ.471 આપવા એવું નક્કી થયું છે. અને, આ રકમ પૈકી કોર્પોરેશનને પ્રતિ ટન રૂ.180 પરત મળે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. જો 97,000 ટન કચરો પ્રોસેસ કરવામાં આવ્યો હોય તો, કોર્પોરેશને કોન્ટ્રાક્ટર પાર્ટીને રૂ.4,56,87,000 આપવાનાં થાય. જેમાં પ્રતિટન રૂ.471 ગણવામાં આવ્યા છે. આ રકમમાંથી પ્રતિ ટન રૂ.180 લેખે કોર્પોરેશને પાર્ટી પાસેથી રૂ.1,74,60,000 પરત જમા લેવાનાં થાય. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કહે છે : કોર્પોરેશનમાં આ કામ પેટે અત્યાર સુધીમાં રૂ.55,84,860 જમા થયા છે.
બીજી તરફ અત્યંત આધારભૂત સૂત્રો જણાવે છે કે, કોર્પોરેશનમાં ખાતર આવક પેટે કોર્પોરેશનને પાછલાં દોઢ વર્ષમાં માત્ર રૂ. બે લાખ આસપાસની જ આવક થઈ છે. બીજી બાજુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કહે છે : કોર્પોરેશનમાં ઉપરોક્ત પ્લાન્ટ પેટે અત્યાર સુધીમાં રૂ.55,84,860 ની આવક થઈ છે. આમાં સાચું શું ?!?!
જામ્યુકોની નાણાંકીય સ્થિતિ કાયમ ભીડમાં હોય છે, આ સ્થિતિમાં રેકર્ડ પરની આવક અને જાવકનાં આધારભૂત આંકડાઓ કોર્પોરેશને સમયાંતરે જાહેર કરવા જોઈએ જેથી લોકોને ખ્યાલ આવે કે, જામનગર મહાનગરપાલિકામાં થઈ રહેલું નાણાંકીય સંચાલન યોગ્ય દિશામાં છે કે કેમ ? ખાસ કરીને વેસ્ટ ટુ એનર્જી, લીગેસી વેસ્ટ તથા વોટર વર્કસ જેવાં કામોમાં સમયાંતરે સત્તાવાર આંકડા જાહેર થતાં રહે તો લોકોને ભરોસો બેસે કે, કોર્પોરેશન ખરી દિશામાં આગળ વધી રહ્યું છે. અને આ પ્રકારની પારદર્શકતા જાળવવામાં આવે તો કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોથી પણ મહાનગરપાલિકા બચી શકે.
આ કચરા પ્રોસેસિંગ પ્લાન્ટમાં મોટી ગોબાચારીઓ ચલાવવામાં આવી રહી છે એવાં આક્ષેપો સમયાંતરે થતાં રહેતાં હોય, ઉચ્ચ સ્તરીય રીતે આ પ્લાન્ટના આંકડાની ખરાઈ થાય, એ સમયની માંગ છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા Mysamachar.in ને આપવામાં આવેલાં આંકડા વિશ્વસનીય છે કે કેમ ? તે પ્રશ્નની ખરાઈ થવી જોઈએ. કેમ કે આ આંકડા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સત્તાવાર રીતે જાહેર કર્યા છે.