Mysamachar.in:જામનગર
જામનગરનાં જમીનમાફિયા જયેશ પટેલનો કેસ અદાલતી કાર્યવાહીનાં સંદર્ભમાં રોચક દેખાઈ રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, પાછલાં દિવસોમાં લંડનની કોર્ટમાં આ કેસમાં ઘણી દલીલો થઈ છે. જયેશ રાણપરિયાના ત્યાંના વકીલની દલીલો જાણવા જેવી છે, એ વકીલ ત્યાં સુધી કહે છે કે, ભારતીય ન્યાયતંત્ર સ્વતંત્ર નથી. બીજી બાજુ આ ભાગેડુ ગેંગસ્ટર લંડન કોર્ટમાં કહે છે : તેની વિરૂદ્ધનાં કેસ રાજકીય પ્રેરિત છે. કારણ કે, તેણે પાટીદાર અનામત આંદોલનમાં ભાગ લીધો હતો.
જામનગરનો ભાગેડુ ગેંગસ્ટર જયેશ પટેલ કેટલાંક લોકોની મદદ વડે શરૂઆતમાં ભારતથી ભાગીને દુબઈ ગયો હતો અને જામનગરમાં એડવોકેટ કિરીટ જોષીની હત્યા પહેલાં તે ત્યાંથી લંડન જતો રહ્યો હતો. આજની તારીખે પણ તે ત્યાં જ છે. છેલ્લાં ચારેક વર્ષથી તે લંડનમાં છે. જો કે, ગુજરાત પોલીસે જયેશ પટેલ વિરૂદ્ધ, વિદેશ મંત્રાલય મારફતે બ્રિટન સરકારને જયેશ પટેલ અંગે જાણકારીઓ આપ્યા બાદ, ત્યાંની સરકારે જયેશને જેલમાં ધકેલી દીધો છે. તાજેતરમાં જયેશના કેસની લંડન કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું : જયેશ પટેલનું ભારતને પ્રત્યાર્પણ હવે કરી શકાશે. ત્યારબાદ અદાલતે ત્યાંની સરકારને આ અંગે મંજૂરી આપી દીધી છે. બ્રિટિશ સરકાર હવે આ પ્રકરણને કેટલી ઝડપથી હાથ ધરે છે, તેનાં પર સઘળો આધાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા અને નિરવ મોદી સહિતના ભાગેડુઓનુ પ્રત્યાર્પણ હજુ સુધી શક્ય બન્યું નથી !
જયેશ પટેલ પ્રકરણના તત્કાલીન તપાસ અધિકારી નિતેશ પાંડે(હાલ દેવભૂમિ દ્વારકા પોલીસ વડા)એ આ પ્રકરણ અનુસંધાને કહ્યું છે કે, જયેશ પટેલ પ્રત્યાર્પણ કેસ માટે અમોએ ચાર કેસનાં આધારો લંડન કોર્ટમાં સબમિટ કર્યા છે જેમાં કિરીટ જોષી મર્ડર કેસ ઉપરાંત જયસુખ પેઢડીયા અને ગિરીશ ડેર પરનાં ગોળીબાર કેસોનો સમાવેશ થાય છે. લંડનની અદાલતે જયેશ પટેલનાં પ્રત્યાર્પણનો આ મામલો બ્રિટિશ સરકારને મોકલી આપ્યો છે,
આ મુદ્દે જામનગરનાં તત્કાલીન એસપી દીપન ભદ્રન કહે છે : બ્રિટીશ સરકાર જયેશ પટેલનું પ્રત્યાર્પણ ભારતને કરવા માટેનો આદેશ આપે ત્યાર બાદ, જયેશ પટેલ પાસે એક માત્ર વિકલ્પ બાકી બચશે – બ્રિટીશ હોમ સેક્રેટરીનાં આદેશ સામે અપીલ કરવાનો. જો કે, અત્યાર સુધીમાં આ કેસમાં ભારતીય પોલીસને મહત્વપૂર્ણ જિત મળી છે. બ્રિટિશ સરકાર કોર્ટના ચુકાદા વિરૂદ્ધ અપીલમાં ગઈ નથી. તેઓએ એમ પણ કહ્યું કે, ગુજરાતમાં વોન્ટેડ વ્યક્તિ વિરૂદ્ધ પ્રત્યાર્પણ મુદ્દે લંડનની કોર્ટમાં અનુકૂળ ચુકાદો આવ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે.
અત્રે એ પણ નોંધનીય છે કે, માર્ચ-2021થી જયેશ પટેલ ત્યાંની જેલમાં છે. દેવભૂમિ દ્વારકા એસપી નિતેશ પાંડેએ જણાવ્યું છે કે, બ્રિટનની ક્રાઉન પ્રોસિકયુશન સર્વિસની મદદથી ગુજરાત પોલીસે લંડનની અદાલતમાં સાનુકૂળ ચુકાદો મેળવવા પૂરતાં પુરાવાઓ રેકર્ડ પર એકત્ર કર્યા છે. આ એક પડકાર હતો કેમ કે, ઉપરોક્ત ચારેય કેસમાં તે કાવતરાખોર હતો. તેથી અમોએ તેની વધુ ન્યાયિક કબૂલાતોનાં ઓડિયો રેકોર્ડિંગ તૈયાર કર્યા છે. આ ક્લિપ દર્શાવે છે કે, તે આ કેસોમાં સામેલ હતો અને પોલીસે સહઆરોપીઓનાં પણ નિવેદનો લીધાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કિરીટ જોષીની હત્યા 2018 માં થઈ હતી. જામનગરમાં 2019 માં પ્રોફેસર રાજાણી પર ચાર શખ્સોએ ગોળીબાર કર્યો હતો. 2020 માં ગિરીશ ડેર પર ત્રણ શખ્સોએ ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ, 2021 માં ચાર શખ્સોએ જયસુખ પેઢડીયા પર ગોળીબાર કર્યો હતો. આમ એક મર્ડર અને ત્રણ ગોળીબાર, સતત ચાર વર્ષ દરમિયાન નોંધાયા હતાં. આ ચારેય કેસમાં જયેશ પટેલ કાવતરાખોર છે. નિતેશ પાંડેએ જણાવ્યું છે કે, આ કેસમાં લંડન કોર્ટમાં જયેશ પટેલ દ્વારા એવી દલીલો કરવામાં આવી હતી કે, ગુજરાતમાં તેની સામેના કેસો રાજકીય પ્રેરિત છે. કારણ કે તેણે (જયેશ પટેલે) પાટીદાર અનામત આંદોલનમાં ભાગ લીધો હતો. ભારતમાં પરિસ્થિતિઓ સલામત નથી.