Mysamachar.in-અરવલ્લીઃ
અમદાવાદ-ઉદેપુર હાઈવે ફરીએકવાર રક્તરંજીત બન્યો હતો. અહીં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં ચાર લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થતા તેઓ હાલ સારવાર હેઠળ છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના દાવલી ગામ પાસે આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં શામળાજી દર્શન કરી પરત ફરતાં શ્રદ્ધાળું ભરેલી રિક્ષાને એક ટ્રકે જોરદાર ઠોકર મારી હતી. ટ્રકની ઠોકરે રિક્ષાનું પડીકું વળી ગયું હતું તો તેમાં સવાર ચાર શ્રદ્ધાળુંના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. ઘાયલ લોકોને 108ની મદદથી હિમ્મતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ દોડી આવી હતી અને પ્રાથમિક વિગતો નોંધી હતી, જેમાં બહાર આવ્યું કે મૃતક અને ઘાયલો તલોદના ગઢી ગામના વતની છે. બધા જ શામળાજી દર્શન કરી પરત ફરી રહ્યા હતા, તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.



























































