Mysamachar.in-જામનગર:
જામનગરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતી એક પરણીતાએ પોતાની આર્થિક નબળી પરિસ્થિતિ તેમજ બાળકોની અભ્યાસની ચિંતાના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.આ બનાવની પોલીસ મથકે જાહેર થયેલ વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 9 ના છેડે શાંતિનગર શેરી નંબર-3 માં રહેતી નીતાબા રાજદીપસિંહ જાડેજા નામની 34 વર્ષની પરિણીતાએ ગઈકાલે રાત્રે પોતાના ઘેર છતના હુકમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો.
આ બનાવ અંગે મૃતકના પતિ રાજદીપસિંહ અમરસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં સીટીબી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોચી હતી અને અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૃતક નીતાબા પોતાના સંયુક્ત પરિવારમાં રહેતી હતી, જ્યારે પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે આર્થિક સંકળામણ ભોગવતી હતી. અને પોતાના બાળકોને ભણાવવાનું અને પરિવારનું શું થશે? તેની ચિંતામાં રહ્યા પછી આ પગલું ભરી લીધાનું જાહેર કરાયેલું છે. જે મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.