Mysamachar.in-જામનગર:રવિ બુદ્ધદેવ:
શું તમે સાંભળ્યું છે કે જેલમાં પણ ખેતી થાય..જી..હા આ એકદમ સાચી વાત છે,એક સમયે રાજ્યમાં બદનામ જામનગર જીલ્લા જેલમા છેલ્લા કેટલાક સમયથી જેલ સુધારણાના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ,જે અંતર્ગત જામનગર જીલ્લા જેલમાં વિવિધ ફૂલ અને શાકભાજીની ખેતી શરૂ કરવામાં આવી છે,જેનાથી કેદીઓના માનસપરિવર્તન થવા સાથે તે બહાર નીકળ્યા બાદ પોતાના પગભેર થઇ શકે તેવી આશા સેવવામાં આવી રહી છે,
જામનગર જીલ્લા જેલ આમ તો થોડાસમય પૂર્વે રાજ્યની બદનામ જેલોમાની એક હતી,પણ જેલ અધિક્ષક તરીકે વી.પી.ગોહિલે ચાર્જ સંભાળ્યા બાદ તેવો જેલને સુધારણાની દિશા તરફ લઇ જવા સતત પ્રયાસો કરી રહ્યા છે,છેલ્લા કેટલાક સમયગાળાથી આ જેલમાં આમુલ પરિવર્તન જોવા મળી રહ્યું છે,શૈક્ષણિક ,આધ્યાત્મિક,સાંસ્કૃતિક અને વ્યવસાયિક અભિગમ સાથે કેદીઓમાં સુધાર આવે તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે,જેલમાં ખુબ મોટી પડતર જમીન આવેલ છે,તે જમીન પર છેલ્લા એકવર્ષ જેટલા સમયગાળાથી ગુલાબ સહિતના ફૂલો અને શાકભાજીની ખેતી કેદીઓ દ્વારા કરવામાં આવી રહી છે,
જામનગર જીલ્લાજેલમાં હાલ ૫૩૦ કેદીઓ છે,જેમાંથી ૬૫ પાકા કામના જયારે બાકીના કાચા કામના કેદીઓ છે,આ તમામ કેદીઓ બહાર જાય ત્યારે તે ગુન્હાહિત માનસિકતામા થી બહાર આવે અને પોતાના પગભર થઇ કઈક કરી શકે તે માટે આવા પ્રયાસો જેલ પ્રશાસન હાથ ધરી રહ્યું છે,ખેતીનો જે પ્રયોગ કરવામાં આવી રહ્યો છે તેમાં પણ ધારી સફળતા મળી રહી છે ,અને ખુદ અધિક્ષક વી.પી.ગોહિલ પોતે પણ ખેતી વિષયના જાણકાર હોવા સાથે પર્યાવરણપ્રેમી હોય કેદીઓને ખેતી અંગેનું માર્ગદર્શન પુરુ પાડી તેના તરફ વાળી રહ્યા છે.આમ જેલમાં કેદીઓની માનસિકતા પરિવર્તન થાય તે ગુન્હાઓ કરતાં અટકે અને પોતાની રોજગારી પોતે મેળવતો થાય તેવો જામનગર જેલ પ્રશાશનનો આ પ્રયાસ ખુબ જ સરાહનીય હોય તેમ લાગે છે.