Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં જે રીતે ટ્રાફિકની સમસ્યા દાયકાઓથી છે, એ જ રીતે વાહનોના પાર્કિંગની સમસ્યાઓ પણ વરસો જૂની છે. અચરજની વાત એ છે કે, આમ છતાં JMC ના શાસકો અને તંત્રને આ પાર્કિંગ સમસ્યાઓ અંગે લેશમાત્ર ચિંતાઓ નથી, આથી એક સામાજિક કાર્યકરે શાસકો અને તંત્ર જોગ ખુલ્લો પત્ર લખવો પડ્યો છે. શહેરના એક સામાજિક કાર્યકર પ્રફુલ્લ કંસારાએ આ પત્ર લખ્યો છે. તેમણે આ ખુલ્લા પત્રમાં લખ્યું છે કે, શહેરમાં પાર્કિંગ સુવિધાઓ મુદ્દે જામનગર મહાનગરપાલિકા ‘નાપાસ’ છે. નગરજનો આ મુદ્દે હેરાન પરેશાન છે. વાહનધારકો રોડ ટેક્સ ભરે છે, વાહનવેરો ભરે છે, ટોલ ટેક્સ ભરે છે, વાહન ટોઈંગ ચાર્જ ભરે છે. ટૂંકમાં, વિવિધ વેરાઓ અને ચાર્જના રુપમાં તંત્રો કરોડો રૂપિયા ભેગાં કરે છે, પછી પણ વાહનધારકોને યોગ્ય સુવિધાઓ આપતાં ન હોય, લોકો ખૂબ જ હેરાન છે.
તેમણે આ પત્રમાં આગળ લખ્યું છે: જામનગર સૌરાષ્ટ્રના પેરીસની ઉપમા ધરાવે છે. અહીં મોટાં અને અસંખ્ય ઉદ્યોગો છે અને સૈન્યની ત્રણેય પાંખો છે. આમ છતાં પાર્કિંગ વ્યવસ્થા મુદ્દે શહેરની સ્થિતિ કંગાળ છે.!! શહેરના હજારો નગરજનો ગ્રેઈન માર્કેટ, શાક માર્કેટ, સુપર માર્કેટ, બરધનચોક તથા સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ સહિતના વિસ્તારોમાં વર્ષના 365 દિવસ ખરીદીઓ માટે જાય છે. કડિયાવાડ અને કડિયાબજારની વાત તો વળી સાવ અનેરી છે. આ તમામ વિસ્તારોમાં પગ મૂકવાની જગ્યા હોતી નથી.
આ તમામ વિસ્તારોમાં વેપારીઓએ ફૂટપાથો પર દબાણો પણ કર્યા છે. ફેરિયાઓના પથારાએ પણ માઝા મૂકી છે. રિક્ષાઓનો આડેધડ ટ્રાફિક અને મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર બાંધકામો- આ પ્રકારની વિવિધ બાબતોને કારણે, આ વિસ્તારોમાં ખરીદીઓ માટે જતાં નગરજનો પોતાના વાહનો કયાં રાખે ?! આ પ્રશ્નનો જવાબ કોર્પોરેશનના તંત્ર કે શાસકો પાસે નથી !! નેતાઓ અને માર્કેટોના સંચાલકો પાસે પણ આ પ્રશ્નનો ઉત્તર નથી !! એમ તેમણે આ પત્રમાં જણાવ્યું છે.
પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, વાહન ટોઈંગના નામે ઉઘાડી લૂંટ ચાલી રહી હોય, વાહનધારકો નારાજ છે. ટ્રાફિકના નિયમોનો અમલ કરાવવામાં આવતો નથી. બજારોમાં ઉત્સાહભેર ખરીદીઓ કરવા આવતાં મહિલાઓ સહિતના હજારો નગરજનોને વાહન પાર્કિંગ મુદ્દે રોજ કડવા અનુભવો થઈ રહ્યા છે. આ પ્રકારના સેંકડો વાહનચાલકો વ્યથા ઠાલવતાં જોવા મળે છે ! તેઓના વાહનો પાર્કિંગમાંથી ટોઈંગ સ્ટાફ ઉઠાવી જાય છે. કયારેય પોલીસ ચોકીએ કે પોલીસ સ્ટેશન ન ગયા હોય એવા મહિલાઓ સહિતના સેંકડો નગરજનોએ પોતાના ઉપાડી જવાયેલા વાહનો પરત મેળવવા, બધાં જ કામો બાજુ પર મૂકી, રિક્ષા દ્વારા છેક પોલીસ હેડ કવાર્ટર સુધી લાંબા થવું પડે છે. આ રોજની રામાયણ છે.
કયારેય કોઈ નેતાઓના કે અધિકારીઓના વાહનો ટોઈંગ થતાં નથી. તેઓના વાહનોનો દંડ પણ થતો નથી. સામાન્ય વાહનધારકોનો મરો થાય છે. નગરજનોની આ સમસ્યાઓ અંગે નેતાઓ તથા તંત્રએ ગંભીરતાથી વિચારવું જોઇએ. રાજય સરકાર કે મહાનગરપાલિકા શહેરમાં પાર્કિંગની સુવિધાઓ આટલાં વર્ષોમાં કરી શકી નથી. ઉપરથી પાડાના વાંકે પખાલીને ડામ કહેવત માફક, મહાનગરપાલિકા નગરજનો પાસેથી કરોડો રૂપિયા ટોઈંગના નામે વસૂલી રહી છે. સત્તાધીશો યાદ રાખે કે, તેઓએ મતો મેળવવા આ જ નગરજનો પાસે દરેક ચૂંટણીઓ વખતે જવું પડતું હોય છે.
પત્રના અંતમાં જણાવાયું છે કે, JMCએ ઈમ્પેક્ટ ફી વસૂલીને સંખ્યાબંધ ગેરકાયદેસર બાંધકામો કાયદેસર કરી દીધાં છે. આવા સ્થળોએ વાહનો પાર્કિંગ માટે કોઈ સુવિધાઓ નથી. FSI મુજબ ઈમારતોમાં પાર્કિંગની જગ્યાઓ છોડવાની હોય છે. આ મુદ્દે પણ કોર્પોરેશનમાં લાલિયાવાડી ચાલે છે. ઘણી બધી ઈમારતોના બેઝમેન્ટમાં ગેરકાયદેસર બાંધકામો હોય છે તેથી ત્યાં રાખવાના વાહનોના ખડકલાં માર્ગો પર થાય છે. ટાઉન પ્લાનિંગ શાખા પાર્કિંગ જગ્યાઓ મુદ્દે પોતાની ફરજો બજાવતી નથી. અને બીજી તરફ સબ સલામત ના દાવાઓ થતાં રહે છે, એમ પત્રના અંતમાં સામાજિક કાર્યકર પ્રફુલ્લ કંસારાએ લખ્યું છે.