Mysamachar.in-દિલ્હી:
ઘણાં સમયથી દેશભરમાં EVM વિષે જાતજાતની અને ભાતભાતની ચર્ચાઓ ચાલી રહી હતી. ઘણી અફવાઓ પણ દોડતી હતી. આ વખતે મોટી નવાજૂની થશે એવી વાતો પણ થતી હતી. આ બધી જ બાબતો પર તોતિંગ પૂર્ણવિરામ લાગી ગયું છે. EVMને સુપ્રિમ ક્લીનચિટ મળી ગયું છે.
ઘણાં સમયથી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર રાતદિવસ EVM પર ચર્ચાઓ થતી હતી. રાજકીય પક્ષોએ પણ આ ચર્ચાઓને મોટી હવા આપી હતી. સમાચાર ચેનલો પર પણ ડિબેટસ થતી અને સુપ્રિમ કોર્ટ સમક્ષ પણ અરજીઓ થયેલી. પરંતુ હવે આ પ્રકરણ પૂર્ણ થયું છે. આજે શુક્રવારે દેશમાં લોકસભા ચૂંટણીઓના બીજા તબક્કા અંતર્ગત 13 રાજ્યોમા 88 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે તે જ સમયે સુપ્રિમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતાં કહ્યું છે કે, બેલેટ પેપરથી ચૂંટણીઓ કરવાની કોઈ જ આવશ્યકતા નથી, EVM સંપૂર્ણ ભરોસાપાત્ર છે.
સુપ્રિમ કોર્ટે આજે સવારે EVM અને VVPAT ના 100 ટકા ક્રોસ ચેકિંગની માંગ અને બેલેટ પેપરથી ચૂંટણીઓ યોજવાની અતિ સંવેદનશીલ અરજીઓ ફગાવી દીધી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ કેસની સુનાવણી કરી રહેલી સુપ્રિમ કોર્ટની બે જસ્ટિસની બેન્ચે આ ચુકાદો ગત્ 24મી એપ્રિલે અનામત જાહેર કર્યો હતો. અને, આજે આ ચુકાદો જાહેર કરી દીધો છે. એ પણ ઉલ્લેખનિય છે કે, આ મામલામાં સુપ્રિમ કોર્ટે ભારતીય ચૂંટણીપંચને કેટલાંક મહત્વના સવાલો પણ પૂછ્યા હતાં, જવાબોની પણ નોંધ કરી હતી. ત્યારબાદ આ ચુકાદો આવ્યો છે.
આ અરજીઓ ઓગસ્ટ 2023માં થયેલી, ત્યારથી EVM અંગેની ચર્ચાઓ દેશમાં જોરશોરથી ચાલતી હતી. કર્મશીલ અરૂણકુમાર અગ્રવાલે એક અરજીમાં માંગ કરી હતી કે, VVPAT સ્લીપની 100 ટકા ગણતરીઓ કરવામાં આવે. સુપ્રિમ કોર્ટે કહેલું કે, એમાં સમય બહુ લાગે. અરજીમાં એમ કહેવાયું હતું કે મતદારોને ફિઝિકલી આ સ્લીપ ચકાસવાની તક આપવામાં આવે. મતદારોને જાતે જ પોતાની સ્લીપ મતપેટીમાં નાંખવાની વ્યવસ્થા કરી આપવામાં આવે, જેથી અનિશ્ચિતતા દૂર થઈ શકે. શંકાનું સમાધાન મળે. આ પ્રકારની એક પણ માંગ સુપ્રિમ કોર્ટ દ્વારા સ્વીકાર કરવામાં આવી નથી. અને, EVM નો ઉપયોગ ફાઈનલ કરી દેવામાં આવ્યો છે. આ અતિ સંવેદનશીલ ચુકાદા બાદ હવે EVM મામલે ભવિષ્યમાં શું થશે ? તે જાણવું રસપ્રદ રહેશે. હાલ પૂરતો આ વિષય પૂર્ણ જાહેર થયો.