Mysamachar.in-જામનગર:
ગુજરાતમાં શિક્ષણનું અચ્યુતમ કેશવમ હવે ઝડપથી આગળ વધી રહ્યું છે. કેમ કે હવે સરકાર પર કોઈનો અંકુશ નથી. જામનગર અને દ્વારકા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં શિક્ષણનાં ‘ વેપાર ‘ ને બેફામ બનાવવા માટે સરકાર દ્વારા વધુ એક સુવિધા જાહેર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
રાજ્યનાં માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જે શાળાઓ પોતાની માલિકીનું શાળા માટેનું અલગ મકાન નહીં ધરાવતી હોય, તેવી શાળાઓને પણ શિક્ષણનો ‘ ધંધો ‘ કરવા મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત જે શાળા સંચાલકો ભાડાની કે માલિકીની શાળા ખાતે પોતાની માલિકીનું રમતગમત માટેનું મેદાન નહીં ધરાવતા હોય તેવા શાળા સંચાલકોને પણ શાળા ચલાવવા મંજૂરી આપવામાં આવશે. ટૂંકમાં, શિક્ષણનો ધંધો ધંધાદારી લોકો આરામથી ચલાવી શકે તે માટે સરકારે વધુ એક સુવિધા કરી આપી છે.
અત્યાર સુધી એવો નિયમ હતો કે, જે શાળાઓ મેદાન ન ધરાવતી હોય તેને શાળા ચલાવવા મંજૂરી ન મળે. જો કે આ નિયમનું પણ જામનગર અને દ્વારકા જિલ્લા સહિત ક્યાંય પણ પાલન થતું ન હતું ! જિલ્લા શિક્ષણ અધિકારી કયારેય આ નિયમનું પાલન કરાવતાં ન હતાં ! ન કોઈ શાળાને નોટિસ આપવામાં આવતી, ન કોઈને દંડ થતો ! (હા ક્યારેક કરવા ખાતર કરવું પડ્યું હોય તે ઠીક)
હવે તો શિક્ષણ ક્ષેત્રમાં સંપૂર્ણ રામરાજ્ય. કોઈ પણ ધંધાદારી વ્યક્તિ રૂપિયાનાં જોરે શાળાની મંજૂરી મેળવી શકે ! કોઈ નિયમ જ નહીં ! આરામથી વાલીઓને લૂંટી શકે ! એટલે કે તગડી ફી વસૂલી શકે ! ધંધો કરી શકે. અત્યાર સુધી જામનગર અને દ્વારકા જિલ્લા સહિત રાજ્યભરમાં શિક્ષણનાં ખાનગીકરણનો દૌર હતો. જેનો સૌ ધંધાદારીઓ લાભ લઈ રહ્યા છે. હવે સરકારે શિક્ષણનાં સંપૂર્ણ ધંધાદારીકરણ માટે રસ્તો ખોલી આપ્યો છે ! જામનગર અને દ્વારકા જિલ્લામાં હવે શિક્ષણમાફિયાઓ હવે વધુ બેફામ બનશે. વાલીઓ મજબૂરીથી લૂંટાતા રહેશે કેમ કે, સરકારી શિક્ષણનો તો ઘણાં સમય પહેલાં જ ખો નીકળી ચૂક્યો છે !
હવે શાળા સંચાલકો ભાડાકરાર રજૂ કરીને ભાડાંની શાળા, ભાડાનું મેદાન રાખી શાળાનો ધંધો કરી શકશે. અને આવી શાળાઓ ભાડાનું મેદાન કદાચ ન રાખે અને માત્ર શાળાનું મકાન ભાડે રાખી લ્યે તો પણ ધંધો કરી શકશે કેમ કે, જામનગર અને દ્વારકા જિલ્લામાં તો શિક્ષણ અધિકારી દ્વારા ક્યારેય ચેકીંગ પણ કરવામાં આવતું નથી ! મજબૂત વિપક્ષની ગેરહાજરીમાં સરકાર કેટલી હદે મનસ્વી રીતે વર્તી શકે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ લેખી શકાય તેવી સ્થિતિ શિક્ષણ ક્ષેત્રમાં પ્રવર્તી રહી છે, એવું આ નિર્ણય પરથી અનુમાન કરી શકાય.