Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા રખડતાં પશુઓને પકડવા, નિભાવવા તથા સ્થળાંતર કરાવવા પાછળ કરદાતા નગરજનોનું તોતિંગ નાણું વાપરી રહી છે પછી પણ, શહેરમાં રખડતાં પશુઓની સમસ્યાનો કાયમી નિકાલ આવી શક્યો નથી.! શહેરમાં ઘણાં વિસ્તારોમાં આજની તારીખે પણ રખડતાં પશુઓનો ભયાનક ત્રાસ યથાવત્ છે, તેથી નગરજનો અકળાઈ ઉઠ્યા છે.
જામનગર મહાનગરપાલિકાએ આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પશુઓનાં નિભાવ માટે દૈનિક રૂ. 34000( આઠ ટન ઘાસચારો) લેખે રૂ. 91.80 લાખનો ખર્ચ કર્યો છે. બેડેશ્વર, રણજિતસાગર તથા સોનલનગર વિસ્તારમાં ઢોરના ત્રણ ડબ્બા કાર્યરત છે. જેમાં કુલ 1096 પશુઓને શહેરમાંથી પકડીને રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમાંથી 745 પશુઓને અમદાવાદ નજીકની પાંજરાપોળ ખાતે ટ્રાન્સફર કરવા પાછળ તથા નિભાવ ખર્ચ માટે કોર્પોરેશને રૂ. 44.50 લાખનો ખર્ચ કર્યો છે.
આ ઉપરાંત ઢોર પક્કડ શાખાનો ખર્ચ, તબીબોનો ખર્ચ, લમ્પી રોગચાળાની સારવાર માટેનાં કેન્દ્રનો ખર્ચ, સિક્યોરિટીનો ખર્ચ વગેરે ગણો તો કરદાતા નગરજનોની તિજોરીમાંથી આ વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. નિભાવ અને સ્થળાંતરનો જ ખર્ચ રૂ.136 લાખનાં આંકડાને આંબી ગયો છે. આટલાં તોતિંગ ખર્ચ પછી પણ, નગરજનોને રખડતાં પશુઓનાં ત્રાસમાંથી મુક્તિ મળી ન હોય, નગરજનોમાં અકળામણ અને નારાજગી જોવા મળી રહી છે. કોર્પોરેશનની ઢોર પક્કડ શાખાને, ત્રણ ત્રણ શિફ્ટમાં કામ કર્યા પછી, મોટો ખર્ચ કર્યા બાદ, શહેરમાંથી 24 કલાક એટલે કે એક દિવસમાં માત્ર 15 ઢોર મળે છે.આ કેવડું આશ્ચર્ય?! કમિશનરે તથા પદાધિકારીઓએ ઢોર પક્કડ શાખાને માર્ગદર્શન આપવાની જરૂર હોય એવું દેખાઈ રહ્યું છે.