Mysamachar.in-જામનગર
જામનગર પીજીવીસીએલ સર્કલના નવા અધીક્ષક આવતા વેંત જાણે પડકારો તેમનો કેડો નહિ મુકે તેવુ લાગે છે કેમકે હજુ ઉદ્યોગનગર ગાજે છે ત્યા ગોકુલનગર વિસ્તારમાં કૌભાંડ થયાનુ બહાર આવવા લાગ્યું છે, ત્યાં રેસીડન્ટ ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ વીજ કનેક્શન અપાયાનુ કહેવાય છે. રેસીડન્ટ ઝોન હોય તેને કોમર્શીયલ કે અન્ય ઝોન ન ગણવા તેવા અદાલતોના વખતોવખત ચુકાદાઓ ટાંકીને છેક ઉર્જા મંત્રીથી માંડી રાજકોટ કોર્પોરેટ ઓફીસ અને જામનગરની વીજકચેરીના વડાને એક લેખીત રજુઆત કરી આ ચુકાદાઓના ઉલ્લંઘન થયા છે તેમ રજુઆતમા જણાવાયુ છે,
ગોકુલનગરમાં બે ત્રણ જેટલી સોસાયટીઓમા ઘરોમાં ઇન્ડસ્ટ્રીયલ ભારે વોટના વીજ કનેક્શન અપાયા છે આ કનેક્શન કોણે આપ્યા? શા માટે આપ્યા? કોની ભલામણ હતી? કોનુ હિત સાચવવાનુ હતુ? વગેરે સવાલો ઉભા થયા છે, દેખીતુ છે રહેણાક વીજવપરાશ ના ટેરીફ ઉદ્યોગ વીજવપરાશના ટેરીફ થી તબક્કાવાર ત્રીસ થી માંડી સાંઇઠ ટકા જેટલા ઓછા હોય છે, માટે વીજવિભાગને ખુબ જંગી આર્થિક નુકસાની કરવાના આ કારસા અન્ય પણ અનેક જગ્યાએ શહેરમાં શહેર આજુબાજુમાં જિલ્લામાં પણ થયા જ હશે તેવી આશંકા પ્રબળ બની છે.