Mysamachar.in- જામનગર:
ચૂંટણીનો ચકરાવો શરૂ થઈ ચૂક્યો છે. ઘણાંની ચકડોળ ઉપર-નીચે આવ-જા કરવા માંડી છે! જામનગર જિલ્લાની જ વાત કરીએ તો, કાલાવડ વિધાનસભા મતવિસ્તારમાં વાતાવરણ અત્યારથી જ ગરમી પકડી રહ્યું છે ! કાર્યકરો આકરાં પાણીએ દેખાઈ રહ્યા હોય, નેતાઓ માટે એક અર્થમાં ‘બૂરે દિન’ શરૂ થયાં હોવાનું ચિત્ર સામે આવવાનો પ્રારંભ થયો છે. આમ આદમી પાર્ટી તથા ભાજપાએ ખાસ્સું ડેમેજ કંટ્રોલ કરવું પડે તેવું દેખાઇ રહ્યું છે.
પ્રથમ આમ આદમી પાર્ટીની વાત કરીએ. 76-કાલાવડ વિધાનસભા બેઠક પર પાર્ટીએ પોતાનાં ઉમેદવારનાં નામની જાહેરાત કરી દીધી છે. અને, આ નામ જાહેર થતાં જ કકળાટ શરૂ થયો છે. છેલ્લાં કેટલાંક દિવસોથી કાલાવડ પંથકનાં આમ આદમી પાર્ટીના કાર્યકરો આ ઉમેદવાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં તલવારો ખેંચી રહ્યા છે. ઉમેદવાર વિશે બે જવાબદાર લખાણો શરૂ થયાં છે. ઉમેદવારનાં ફોટા પર ચોકડી લગાવી, સાથે ઉમેદવાર વિરુદ્ધ લખાણો લખી, આ બધું સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યું છે ! કાલાવડ આમ આદમી પાર્ટીના કાર્યકરો ત્યાં સુધી આક્ષેપો કરે છે કે, ભાજપા અને આમ આદમી પાર્ટી વચ્ચે સેટિંગ છે!? આમ આદમી પાર્ટીએ ડો.જિગ્નેશ સોલંકીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ ઉમેદવાર ભાજપાનાં પૂર્વ ધારાસભ્યનાં ભત્રીજા હોવાની વિગતો પણ વાયરલ થઈ છે.
પાર્ટીનાં કાર્યકરો કહે છે: ઉમેદવારની પસંદગી પ્રક્રિયા દરમિયાન પાર્ટીના સ્થાનિક સંગઠનને વિશ્વાસમાં લેવામાં આવ્યું નથી. ભાજપા સાથે ગોઠવણ કરી ટિકિટ ફાળવણી કરવામાં આવી છે એવો પણ આક્ષેપ થયો છે. જાહેર થયેલાં ઉમેદવાર માત્ર છ મહિના પહેલાં જ પક્ષમાં આવ્યા છે. ટૂંકમાં, હજુ તો ચૂંટણીની જાહેરાત પણ થઈ નથી ત્યાં જ આમ આદમી પાર્ટીમાં કકળાટ શરૂ થતાં પાર્ટીનાં મોવડીઓ સુધી તાપ પહોંચી ચૂક્ય છે અને ડેમેજ કંટ્રોલ કવાયત હાથ ધરવામાં આવી છે. આ અંગે જીગ્નેશ સોલંકીની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ તેવો મીટીંગમાં વ્યસ્ત હોય પ્રતિક્રિયા આપી શક્યા નથી.
ભારતીય જનતા પાર્ટીમાં પણ કાર્યકરો સક્રિય થયાં છે. ચૂંટણી સળવળાટ બહાર આવી રહ્યો છે. કાલાવડ વિધાનસભા મતવિસ્તારમાં કાર્યરત કાર્યકરોએ પોતાનો મત વ્યક્ત કરવાની શરૂઆત કરી દીધી છે.! કાલાવડ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપા માં દાવેદારોની સંખ્યા ખૂબ મોટી છે. એ પણ ચિંતાનો વિષય છે. ત્યાં હવે કેટલાંક દાવેદારો તથા સ્થાનિક આગેવાનોએ એવી માંગ શરૂ કર્યાનું જાણવા મળે છે કે,આ બેઠક પર સ્થાનિક એટલે કે ધ્રોલ, જોડિયા અથવા કાલાવડના કોઈ દાવેદારની પસંદગી કરવામાં આવે.
આ ચર્ચામાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, અન્ય એક પાર્ટીએ સ્થાનિક ઉમેદવાર પસંદ કર્યા છે. અને અન્ય એક પાર્ટીએ પણ સ્થાનિક નેતાને જ ટિકિટ આપવા મન બનાવી લીધું છે. આ સ્થિતિમાં જો ભારતીય જનતા પાર્ટી સ્થાનિક દાવેદારને તક નહીં આપે તો ચૂંટણીમાં પક્ષને નુકસાનની શક્યતા હોવાથી સ્થાનિક આગેવાન અથવા કાર્યકરને કાલાવડની ટિકિટ આપવી જોઈએ, એવી ચર્ચાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં જોર પકડતાં પક્ષનાં મોવડીઓ પર દબાણ સર્જાયું હોવાની પણ ચર્ચા છે. બે પક્ષોમાં આ પ્રકારની સ્થિતિ હોવાની ચર્ચાને કારણે ત્રીજાં પક્ષ તરીકે કોંગ્રેસને મનમાં લાડુ ફૂટી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે.