Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
કેન્દ્ર સરકારે નવા કૃષિકાયદા અમલમા મુક્યા છે, તેનો દેશભરમા વિરોધ વંટોળ છે પરંતુ ગુજરાતમાતો આંખોમીચી અમલ જ શરૂ થવા લાગ્યો છે તે ઇફેક્ટ હેઠળ યાર્ડોની આવક ઘટી છે. (જોવાનુ એ છે કે ખેડૂતોની આવક વધી કે નહી તે અભ્યાસ કરવા જેવો વિષય તો છે જ ને) અને નવા કાયદાના સારા માઠા અણસાર વચ્ચે હવે આ બાબતે સમીક્ષાની જરૂર ઉભી થઇ છે. કેન્દ્રના કાયદા મુજબ રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડીને માર્કેટીંગ યાર્ડો પાસેથી ઘણી સતા છીનવી લીધા બાદ જામનગર જિલ્લામાં આવેલા મહત્વના હાપા યાર્ડ સહિત છ તાલુકાના માર્કેટીંગ યાર્ડોની સેસ આવકમાં કરોડો રૂપિયાનો ફટકો પડવાથી આર્થિક સ્થિતિ કફોડી બની છે.
– વેપારી બારોબાર માલ ખરીદવા લાગ્યા
રાજ્ય સરકારે નવા કૃષિ ખરડા હેઠળ 6 મે 2020ના રોજ વટહુકમ બહાર પાડીને માર્કેટીંગ યાર્ડોના વેપારીઓ બહારથી માલની સીધી જ ખેડૂતો પાસેથી ખરીદી કરવાની સતા આપવામાં આવતા વેપારીઓ સેસની રકમથી બચવા માટે ખેડૂતોથી પાસેથી સીધો જ માલ ખરીદી કરવાની શરૂઆત કરવાના લીધે જામનગર જિલ્લાના માર્કેટીંગ યાર્ડોને ભારે આર્થિક ફટકો પડયો છે.
– નોંધપાત્ર આવક ઘટી-સ્ટાફ છટણી
હાપા ખાતે આવેલ માર્કેટીંગ યાર્ડને 1.50 કરોડની સેસની આવક ગુમાવી છે. આ ઉપરાંત ધ્રોલ માર્કેટીંગ યાર્ડએ પણ 50 લાખની, કાલાવડ યાર્ડએ 67 લાખની, લાલપુર યાર્ડએ 80 લાખની સેસની સૌથી વધુ આવક ગુમાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાપા માર્કેટીંગ યાર્ડમાં સેસની નિયમીત 5 કરોડની આવક થતી હતી પરંતુ નવા કાયદાથી 67 લાખની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને કાલાવડ યાર્ડમાં 60 ટકાની આવકમાં ઘટાડા સાથે 2થી 2.25 કરોડની આવક સામે આ વર્ષે 67 લાખની આવક થવા પામી હોય ત્યારે આર્થિક પરિસ્થિતિ કફોડી બનવાથી 10 કર્મચારીને છુટા કરવામાં આવ્યા છે તેમજ લાલપુર યાર્ડને સૌથી મોટો ફટકો પડયો હોય તેમ 95 ટકા આવકમાં ઘટાડો નોંધાયાનું જાણવા મળે છે,
– જોડીયા યાર્ડ માત્ર નામનુ
દરમિયાન જોડિયા માર્કેટીંગ યાર્ડમાં સિઝન પ્રમાણે જણસીઓની ખરીદી કરવામાં આવે છે જેમાં ખાસ કરીને કપાસ, મગફળી, ચણાનો સમાવેશ થાય છે ત્યારે હાલમાં જોડિયા માર્કેટીંગ યાર્ડ બંધ હાલતમાં છે અને સરકારે વેપારીઓને ખરીદીની છુટ ન આપતા જોડિયા યાર્ડ હાલમાં શોભાના ગાઠીયા સમાન બની ગયું છે.
– રજુઆતો માંગણીની શરૂઆતો
રાજ્ય સરકારના માર્કેટીંગ યાર્ડોની સતા છીનવતા નવા કાયદાના લીધે જામનગર જિલ્લાના યાર્ડોની આર્થિક કમ્મર ભાંગી જવાથી આવનારા દિવસોમાં માર્કેટીંગ યાર્ડોની પરિસ્થિતિ વધુ નબળી બનવાના એંધાણ વચ્ચે યાર્ડના સત્તાધીશો સરકારને રજૂઆત કરીને રોષ ઠાલવી રહ્યા છે જ્યારે બીજી તરફ વેપારીઓ બારોબાર ખેડૂતોનો માલ ખરીદતા હોવાથી છેતરપીંડીની સંભાવના પણ વધુ પ્રબળ બનતા આ નવો કાયદો યાર્ડો માટે ખતરાની ઘંટી સમાન હોય તેવામાં ખેડૂતોને પણ સાવધાની રાખવી પડશે.
– આશાનુ કિરણ-જામજોધપુર યાર્ડમાં આવકનો વધારો
રાજ્ય સરકારના યાર્ડોની સતા છીનવતા નવા કાયદા હેઠળ મોટા ભાગના યાર્ડોની કફોડી દશા થવા પામી છે ત્યારે જામજોધપુર યાર્ડમાં આવક ઘટવાના બદલે ઉલ્ટાની આ વર્ષે 3 કરોડની આવક થઇ છે, જામજોધપુર યાર્ડમાં છ તાલુકાના ખેડૂતો માલ વેચવા આવે છે જેમાં ભાણવડ, પોરબંદર, રાણાવાવ, પાનેલી, ઉપલેટા, બારાડી પંથકનો સમાવેશ થાય છે અને નિયમીત 2 કરોડની આવક સામે આ વખતે 3 કરોડની આવક થતા એક કરોડ આવક વધી છે જો કે ખેત ઉત્પાદન વધ્યાની આ અસર છે.