Mysamachar.in-જામનગર
ભગવાન શ્રીકૃષ્ણ પર કરેલા નિવેદનના થયેલ વિવાદ બાદ દ્વારકા માફી માંગવા પહોંચેલા મોરારિબાપુ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મોરારિબાપુ જ્યારે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક પોતાને શોભે નહિ તે રીતે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક પણ ત્યાં આક્રોશિત થઇને આવી પહોચ્યા હતા, જો કે મોરારિબાપુ પર હુમલો થાય તે પૂર્વે જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સમયસુચકતા વાપરીને પબુભાને દુર લઇ ગયા હતા, અને મામલો એ સમયે થાળે પાડ્યો હતો…
હવે દિવસે ને દિવસે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સામે આવવા લાગ્યા છે, અને રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં અને તાલુકામથક સુધી ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે, અને મોરારીબાપુના સમર્થનમાં લોકો આવવા લાગ્યા છે, ગઈકાલે જામનગરના સત્યમ કોલોની આહીર સમાજ ખાતે આહીર સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી અને બેઠકમાં પણ પબુભા માણેક સામે વિરોધ દર્શાવવાનું નક્કી કરવામાં આવ્યા બાદ જામનગર આહીર સમાજના આગેવાનો દ્વારા આજે કલેક્ટરના પ્રતિનિધિને આવેદનપત્ર આપી અને પબુભા માણેક સામે પગલા લેવા રજૂઆત કરવામાં આવી છે જેમાં ટાંકવામાં આવ્યું છે કે….
આ ઘટનાથી આહીર સમાજની લાગણીને ઠેશ પહોચી છે, પબુભા માણેકની ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની મોરારીબાપુની ટીપ્પણીથી જો લાગણી દુભાઈ હોય તો આહીર સમાજ છેલ્લા એક માસ જેટલા સમયથી સમગ્ર ગુજરાતમા અને દેશમાં આહીરસમાજ યાદવ સમાજ દ્વારા અલગ અલગ માધ્યમોથી આ બાબતનો વિરોધ દર્શાવતા હતા એ દરમિયાન પબુભા માણેકે આ બાબતમાં પોતાનો કોઈ વિરોધ દર્શાવેલ નથી અને કોઇપણ નિવેદન પણ મીડિયા સમક્ષ આપેલ નથી તો શું આ માત્ર રાજકીય લાભ લેવા માટે આવું કૃત્ય કરેલ છે..? તેવો સવાલ પણ આહીર સમાજના આવેદનમાં ઉઠ્યો છે, અને આહીર સમાજ આ બાબતનો સુખદ અંત લાવવા માટે કોશિશ કરતુ હતું ત્યારે ઓચિંતું આવું અક્ષમ્ય કૃત્ય કરનાર પબુભા માણેક સામે કાયદાકીય પગલા ભરવા પણ આહીર સમાજે માંગ કરી છે.