Mysamachar.in:જામનગર
જામનગર શહેરમાં એવાં અસંખ્ય કોમર્શિયલ કોમ્પલેક્ષ છે જેનાં પાર્કિંગ ગંદકીનાં ઘરો છે ! અને, આ ઇમારતોના વાહનો રોડ પર ટ્રાફિકને અવરોધરૂપ પાર્કિંગ કરે છે અને સમસ્યાને જન્મ આપે છે. આમ છતાં, આ પ્રકારના કોમ્પલેક્ષના સંચાલકો કે માલિકો પ્રત્યે કોર્પોરેશન કડક વલણ અખત્યાર કરતું નથી ! હાલ વરસાદની ઋતુમાં આ પ્રકારના કોમ્પલેક્ષના પાર્કિગ મચ્છરોના ઉત્પતિ સ્થાન બન્યા છે તો પણ કોર્પોરેશનનો મેલેરિયા નિયંત્રણ વિભાગ હજુ ઉંઘમાં છે, આંખો ચોળે છે અને પોતે જાગે છે એવો અભિનય કરે છે ! ખરેખર તો આ વિભાગ સંપૂર્ણ નિષ્ક્રિય છે ! જેને પરિણામે આ પ્રકારના કોમ્પલેક્ષના ઓફિસ-દુકાનધારકો મચ્છરોની સમસ્યાથી ત્રાહિમામ્ પોકારી ગયા છે.
આ વર્ષે જામનગર શહેરમાં સારો એવો વરસાદ નોંધાયો છે. જેને કારણે શહેરમાં સંખ્યાબંધ વિસ્તારોમાં સેંકડો કોમર્શિયલ કોમ્પલેક્ષનાં પાર્કિંગમાં ગંદા પાણી ભરાયેલાં છે ! આ ગંદા પાણીની વાસ શહેરને રોગ તરફ ધકેલે છે. આ ગંદા પાણીમાં લાખોની સંખ્યામાં મચ્છરો પેદાં થઈ રહ્યા છે ! આ મચ્છરો આ પ્રકારના કોમ્પલેક્ષની દુકાનો અને ઓફીસોમાં કાળો કેર વર્તાવી રહ્યા છે ! લોકો બીમારીનાં, રોગચાળાનાં ભયથી ફફડી રહ્યા છે. છતાં જામ્યુકોનો મેલેરિયા વિરોધી વિભાગ હજુ વાઈબ્રન્ટ જોવા મળ્યો નથી ! આ વિભાગની નિષ્ક્રિયતા શહેરમાં રોગચાળો નોતરી શકે છે !
માય સમાચાર ડોટ ઈન દ્વારા આજે સવારે આ મુદ્દે કોર્પોરેશનનાં મેલેરિયા નિયંત્રણ વિભાગનાં અધિકારી દિલીપ પંચાલનો ટેલિફોનીક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓનાં જણાવ્યા પ્રમાણે, આ પ્રકારના કોમર્શિયલ કોમ્પલેક્ષને ગંદા પાણીનાં નિકાલ માટે અથવા આ પાણી પર બળેલું ઓઈલ છંટાવવાની અથવા જંતુનાશક દવાનો છંટકાવ કરાવવાની જવાબદારી જેતે વિસ્તારમાં સંબંધિત આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરને સોંપી દેવામાં આવી છે ! મતલબ, જા બિલાડી મોભામોભ. જવાબદારીનો ઉલાળિયો !
મેલેરિયા વિરોધી વિભાગ દ્વારા આ પ્રકારના કેટલાં કોમ્પલેક્ષ શહેરમાં છે ? તેનો કોઈ સર્વે કરવામાં આવ્યો નથી ! આ કોમ્પલેક્ષને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનાં મેડિકલ ઓફિસર નોટિસ આપે છે. કેટલાં કોમ્પલેક્ષને નોટિસ આપવામાં આવી છે ? તે આંકડાઓ મેલેરિયા વિરોધી વિભાગ પાસે નથી ! નોટિસ આપ્યા પછી પણ કોમ્પલેક્ષમાં કોઈ કામગીરી ન થાય તો પણ મેલેરિયા વિરોધી વિભાગ દ્વારા કોઈ આકરી કાર્યવાહી કરવામાં આવતી નથી ! કોમ્પલેક્ષને બીજી નોટિસ આપવામાં આવે છે ! અને પછી પણ કાંઈ ન થાય તો પણ તંત્ર આકરી કાર્યવાહી કરતું નથી !
મેલેરિયા વિરોધી વિભાગ તો ત્યાં સુધી કહે છે કે, નોટિસ આપ્યા પછી પણ કોમ્પલેક્ષમાં પાણી ઉલેચવામાં ન આવે અને પાણી પર ધારો કે બળેલું ઓઈલ છાંટી દેવામાં આવે તો, ઓકે ! કારણ કે મેલેરિયા વિરોધી વિભાગની ફિલોસોફી એવી છે કે, મચ્છર ઉત્પાદન તો અટક્યું. ટૂંકમાં, મેલેરિયા વિરોધી વિભાગ દ્વારા આ વર્ષ સહિત કોઈ પણ વર્ષે આ મુદ્દે કડક વલણ અખત્યાર કરવામાં આવતું ન હોય, કોમ્પલેક્ષ સંચાલક એસોસિએશનો કોર્પોરેશનનાં મેલેરિયા વિરોધી વિભાગને ગણકારતા નથી ! જેને કારણે આ સમસ્યા વર્ષોવર્ષ જોવા મળે છે !
ખરેખર તો, એસ્ટેટ શાખા અને મેલેરિયા વિરોધી વિભાગે આ કામગીરી સંયુક્ત રીતે યુધ્ધના ધોરણે હાથ ધરી તમામ કોમ્પલેક્ષમાં પાર્કિંગ સ્થળો કલીયર કરાવવા જોઈએ. આ ઉપરાંત શહેરમાં પણ જ્યાં જ્યાં જાહેર માર્ગો પર અને રહેણાંક વિસ્તારમાં પાણીનો ભરાવો કે ખાબોચિયાં દેખાય ત્યાં બધાં જ સ્થળે પાણી નિકાલ, જંતુનાશક દવા છંટકાવ વગેરે કામગીરી યુદ્ધના ધોરણે આદરીને શહેરને સ્વચ્છ બનાવી નગરજનો પરનો બિમારીનો ખતરો ટાળવા કમ્મર કસવી જોઈએ એવી લાગણી નગરજનોમાં વ્યક્ત થઈ રહી છે. લોકો એમ પણ ઈચ્છી રહ્યા છે કે, કમિશનરે મેલેરિયા વિરોધી વિભાગને દોડાવવાની આવશ્યકતા છે.