Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી કેટલીક આઉટસોર્સિંગ એજન્સીના સંચાલકો કર્મચારીઓને રાખ્યા બાદ તે કર્મચારીઓ પાસે કામ તો કરાવે છે પરંતુ સમયસર કર્મચારીઓને માસિક પગાર આપવામાં ઠાગાઠૈયા કરતા હોય મોડા પગાર આપવા મહિનાઓ સુધી પગાર ના આપવા સહિતની બાબતો છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જેને લઈને હવે મનપા પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે અને આવી એજન્સીઓને સબક શીખવવાના મૂડમાં હોય તેમ લાગે છે.
એવામાં કેટલીક એજન્સીઓની અને ખાસ કરીને અમીધારા નામની એજન્સીની વધી રહેલી ફરિયાદોને પગલે કમિશનર ડીએન મોદીની સૂચના મુજબ નાયબ કમિશનર ભાવેશ જાનીએ ગતરોજ સાંજે બંધ બારણે એજન્સી સંચાલકોને બોલાવી અને આકરી ભાષામાં ખખડાવી નાખ્યાના અને હવે એજન્સીઓએ પોતાની મનમાની ના ચલાવી શાનમાં સમજી જવા બોધપાઠ આપ્યો હોવાના અહેવાલ સૂત્રોના હવાલેથી સામે આવી રહ્યા છે.
નાયબ કમિશનર જાનીએ ત્યાં સુધીની ચીમકી આપી છે કે જે એજન્સી કર્મચારીઓને સમયસર પગાર ચૂકવશે નહીં તો તે એજન્સીઓને કોઈ શેહ શરમ કે ભાર ભલામણ રાખ્યા વિના બ્લેક લિસ્ટ કરી દાખલો બેસાડી દેશે. નાયબ કમિશનરે વધુમાં કોન્ટ્રાક્ટરોને કહ્યું કે જેનાથી તમારી એજન્સી ચાલે છે અને જે દિવસ રાત જોયા વિના કામ કરે છે તેવા તમારા કર્મચારીઓને સમયસર પગાર ના આપવાની બાબત કોઈ પણ સંજોગોમાં મનપા દ્વારા ચલાવી લેવામાં આવશે નહીં અને કડકમાં કડક પગલાં પગાર ના સમયસર ચુકવણા ના કરવાના કિસ્સામાં લેવામાં આવશે.