Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લાનો કાલાવડ તાલુકાના ભાયુખાખરિયા ગામનો કસ્ટોડિયલ ટોર્ચર કેસ ખૂબ જ ચર્ચાસ્પદ તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. ખુદ એસપી એ આ કેસમાં બબ્બે વખત હાઈકોર્ટમાં રૂબરૂ હાજરી આપવી પડી છે અને હવે આ પ્રકરણની તપાસ પોલીસ ઇન્સ્પેકટર પાસેથી લઇ લેવામાં આવી છે અને વડી અદાલતના આદેશ પ્રમાણે આ તપાસ ગ્રામ્ય ડીવાયએસપીને સોંપવામાં આવી છે. આમ છતાં, હજુ પણ કાલાવડ પોલીસ ઢાંકપિછોડો કરી રહી છે !
કાલાવડ તાલુકાના ભાયુખાખરિયા ગામમાં જૂન માસના પ્રારંભમાં જેટકો કંપનીનાં અધિકારીઓએ કોઈ પણ પ્રકારની મંજૂરી વિના સ્થાનિક ખેડૂતોનાં વાડીખેતરોમાં વીજ થાંભલાઓ ખોડવાનું શરૂ કરી દીધું હતું. આ બબાલ દરમિયાન ખેડૂતોએ વાંધો લેતાં વીજકંપનીના અધિકારીઓએ સ્થાનિક પોલીસ સાથે ગોઠવણ કરી લીધી હતી ! ત્યારબાદ એવું જાહેર થયું કે, કાલાવડ પોલીસે આ પ્રકરણમાં એક ખેડૂત યુવાન અને ખેડૂત પરિવારનાં એક સગીરને બેફામ અને ક્રૂર રીતે માર માર્યો ! બાદમાં મામલો ગરમાયો. ભોગ બનનાર પરિવારે જિલ્લા પોલીસ વડા સમક્ષ સમગ્ર પ્રકરણની વિગતો રજૂ કરી, યોગ્ય કાર્યવાહી માટે વિનંતી કરી. જો કે તો પણ જેટકો કંપનીનાં અધિકારીઓ અને કાલાવડ પોલીસનાં અધિકારીઓ અને કર્મચારીઓ ‘સલામત’ રહ્યા. તેઓનો વાળ પણ વાંકો ન થયો. આખરે ભોગ બનનાર પરિવારે ન્યાય મેળવવા છેક વડી અદાલતમાં જવું પડ્યું. વડી અદાલતે ગત્ ત્રીજી જુલાઈએ જામનગર એસપીને આ પ્રકરણમાં અદાલતમાં હાજર રખાવ્યા હતાં. અને, કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, આ મામલામાં કોઈ પણ પ્રકારની ઢીલ ચલાવી લેવામાં આવશે નહીં.
ત્યારબાદ એસપી એ આ પ્રકરણની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. ક્રાઈમ બ્રાન્ચે તપાસ રિપોર્ટ તૈયાર કર્યો. આ તપાસ રિપોર્ટ કાલે સાતમી જૂલાઈએ એસપી એ ખુદે હાઈકોર્ટમાં રજૂ કર્યો. વડી અદાલતે તપાસ રિપોર્ટ અંગે કોઈ ટીકા નથી કરી પરંતુ એવો આદેશ આપ્યો છે કે, આ રિપોર્ટ પછી પણ કડક તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવાની રહેશે. અને વડી અદાલતે આ સમગ્ર પ્રકરણની તપાસ ગ્રામ્ય ડીવાયએસપીને સોંપી છે.
આ કેસમાં વડી અદાલતના આદેશ પછી હવે કાલાવડ પોલીસમાં જેટકો કંપનીનાં બે અધિકારીઓ અને કાલાવડ પોલીસનાં ત્રણ કર્મચારીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જો કે આ FIR નામજોગ દાખલ કરવામાં આવી નથી. આ પ્રકરણની તપાસ હવે રુરલ ડીવાયએસપી કરશે અને બાદમાં જેટકો કંપનીનાં બે અધિકારીઓ અને કાલાવડ પોલીસનાં ત્રણ કર્મચારીઓનાં નામો તપાસમાં ખૂલશે. ત્યારબાદ તેઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું સમજાઈ રહ્યું છે. આ પ્રકરણ આટલું આગળ વધી ગયા પછી પણ કાલાવડ પોલીસ ઢાંકપિછોડો કરી રહી છે ! રૂરલ ડીવાયએસપી ડી.પી.વાઘેલા આજે અદાલતનાં કામમાં વ્યસ્ત છે. એસપી નો ટેલિફોનીક સંપર્ક શક્ય બન્યો ન હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં પોલીસની વર્તણૂંક ભારે ચર્ચામાં છે. ખુદ હાઈકોર્ટ આ મુદ્દે ખફા છે. અને આ પ્રકરણમાં પીડિત પરિવારને ખરો ન્યાય અપાવવા વડી અદાલતે ખૂબ જ કડક વલણ અખત્યાર કર્યું હોય, જામનગર પોલીસ આ પ્રકરણમાં કાલાવડ પોલીસ વિરુદ્ધની તપાસ કડક અને તટસ્થ રીતે આગળ વધારશે, એવું હાલ દેખાઈ રહ્યું હોય કાલાવડ પોલીસ હાલ થથરી રહી હોવાનું સમજાઈ રહ્યું છે.
આ પ્રકરણની હવે પછીની સુનાવણી આગામી ઓગસ્ટ મહિનામાં હાથ ધરવામાં આવશે. એ પહેલાં રુરલ ડીવાયએસપી દ્વારા તપાસ થશે અને એમ માનવામાં આવે છે કે વડી અદાલતના આદેશને પગલે આ તપાસ રિપોર્ટ ધગધગતો હશે. જેને કારણે જેટકો કંપનીનાં અધિકારીઓ અને કાલાવડ પોલીસનાં કર્મચારીઓ માટે આગામી સમય કપરો પૂરવાર થઈ શકે છે.