Mysamachar.in-જામનગર:
શ્રમ ઉર્ફે પરિશ્રમ સારી બાબત છે, તેનાથી શરીરને ફાયદો થાય છે અને તમે જો સાવરણો લઈને આંગણું કે શેરી વાળો તો શરીર ઉપરાંત સફાઈનો પણ લાભ મળે છે. પરંતુ આ કામગીરીઓ કરવા માટે સફાઈ કામદારો હોય જ છે, તેઓ પાસેથી જવાબદારોએ કામ લેવાનું હોય છે, જાતે સાવરણા હાથમાં રાખીને ફોટોસેશન કરાવવા એ સસ્તી લોકપ્રિયતા માટેની કસરતો છે- એવો સરેરાશ નગરજનોનો મત છે.
સ્વચ્છતા હી સેવા- સૂત્ર સારું છે. પરંતુ એ સફાઈ કામદારો માટે છે. સૌએ હાથમાં સાવરણા લેવાની જરુર શું છે.?! તમે જે ઓફિસના વડા હો, એ ઓફિસમાં સફાઈની જેઓની જવાબદારીઓ હોય તેની પાસેથી કામ લેવાની વ્યવસ્થા તમારે ગોઠવવાની હોય અને તેનું મોનિટરીંગ કરવાનું હોય.
એ જ રીતે તમારાં હાથ નીચેની કચેરીઓમાં પૂરતો સ્ટાફ છે કે કેમ. ? બધાં જ કર્મચારીઓ કામ કરે છે કે કેમ? કચેરીમાં કામોમાં વિલંબ અથવા ભ્રષ્ટાચાર થાય છે.? લોકોના પ્રશ્નો હલ થાય છે.? લોકોને કોર્પોરેશનમાં વારંવાર રજૂઆતો માટે શાથી દોડી આવવું પડે છે ?! કોર્પોરેશનનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ શહેરમાં સ્વચ્છતા જાળવવા સક્ષમ છે કે નહીં ?! શહેરમાં સ્વચ્છતા ઝુંબેશની જરૂર શા માટે ઉભી થાય છે ? શહેરમાં સફાઈની કામગીરીઓ રોજેરોજ અપટુડેટ શા માટે નથી થતી ?! એ બધી બાબતો પર ધ્યાન આપવાની તમારી જવાબદારીઓ હોય છતાં તમે ધ્યાન ન આપો અને, જાતે સાવરણો હાથમાં લઈ ફોટા પડાવો, વારંવાર ફોટા પડાવો તો સ્વાભાવિક છે કે, તમે લોકોમાં મજાકનો વિષય બની જ જાઓ. આ પ્રકારના ફોટોસેશન પ્રત્યે નગરજનોમાં ભારે નારાજગીઓ છે. લોકો ટીકાઓ કરી રહ્યા છે.
જામનગર મહાનગર સેવા સદનમાં અધિકારીઓ અને કર્મચારીઓની સંખ્યા પૂરતી નથી અને મહાનગરપાલિકાની કામગીરીઓ પણ ટનાટન નથી, લોકોને રોજ હજારો ફરિયાદો કરવી પડે છે, કોર્પોરેશનના કામોમાં કવોલિટીના ઉચ્ચ ધોરણો જળવાતાં નથી- આ પ્રકારની જવાબદારીઓનો ઉલાળિયો થતો હોય અને બીજી તરફ સાવરણાના ફોટોસેશન થતાં હોય, લોકો નારાજ છે, સાવરણાવીરોની મસ્તી થઈ રહી છે અને કોર્પોરેશન ખુદ મજાકનું સાધન બની ગયું છે.
નગરજનોની અપેક્ષાઓ એ છે કે, સમગ્ર મહાનગર સેવાસદનની તમામ કામગીરીઓ અને કાર્યવાહીઓ વાઈબ્રન્ટ બને. શહેર વિકાસના હાઈવે પર તેજ ગતિએ દોડે. રાજયના અન્ય મહાનગરોની સરખામણીએ જામનગરની છાપ મોટાં ગામડાંની છે- એ હકીકત સાવરણાવીરોએ યાદ કરવી જોઈએ. મહાનગર સેવા સદનનું આંગણું સંબંધિત સફાઈ કામદારો પાસે ચોખ્ખું રખાવવું જોઈએ અને મહાનગર સેવા સદનને અંદરથી કામગીરીઓ સંબંધે વાઈબ્રન્ટ બનાવવું જોઈએ, પદાધિકારીઓ અને અધિકારીઓ પાસે નગરજનોની અપેક્ષાઓ આ હોય છે.