Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકામાં કમિશનરે લીધેલાં એક આકરાં પગલાંને કારણે કોર્પોરેશનમાં સોપો પડી ગયો છે. કોર્પોરેશનની આમ તો લગભગ બધી શાખાઓ ઓછાવતા પ્રમાણમાં વિવાદોમાં રહેવા ટેવાયેલી છે પરંતુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ વર્ષોથી સૌથી વધુ ગંધાતો રહ્યો છે. આ ગંધ સ્ફોટક અહેવાલોને કારણે છેક કમિશનર કાર્યાલય સુધી પહોંચતા આખરે આ વિભાગના અને કોર્પોરેશનના પણ, સૌથી વધુ વિવાદિત અધિકારીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાંથી હાઉસ ટેક્સ વિભાગમાં ફેંકી દેવામાં આવ્યા છે. કમિશનરે સંબંધિત બધાં જ અધિકારીઓને આ તકે કડક સંકેત પાઠવી દીધો છે કે, કામમાં તથા ફરજોમાં કોઈ પણ પ્રકારની ગરબડો કે લાલિયાવાડી ચલાવી લેવામાં આવશે નહીં. ગમે ત્યારે ગમે તેના પર વીજ ત્રાટકી શકે છે.
જામનગર મ્યુ.કમિશનર ડી.એન.મોદીએ રવિવારની રજામાં હુકમ છોડયો ! હુકમમાં કહેવાયું છે કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજો બજાવતાં દિપક એન.શીંગાળાએ પોતાના હોદાનો ચાર્જ છોડી હવેથી હાઉસ ટેક્સ વિભાગમાં ફરજો બજાવવાની રહેશે. આ વિભાગમાં આ અધિકારીએ ચતુર્વર્ષીય આકારણી તથા કાર્પેટ આકારણી લગત તમામ કામગીરીઓ કરવાની રહેશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં આ અધિકારીની ખાલી જગ્યા પર મુકેશ કે. ચાવડાને વધારાની જવાબદારીઓ સાથે મૂકવામાં આવ્યા છે. મુકેશ ચાવડા હાલ ભૂગર્ભ ગટર શાખામાં નાયબ કાર્યપાલક ઈજનેર છે, તેઓએ પોતાની આ કામગીરીઓ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં શાખા અધિકારીની ફરજો પણ બજાવવાની રહેશે.
અત્રે નોંધનીય છે કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારી દીપક શીંગાળાની બદલી અમસ્તી નથી થઈ. ભૂતકાળમાં તેઓ સસ્પેન્ડ પણ થઈ ચૂકયા છે. તેઓ સરકારના પરિપત્ર વિરુદ્ધ રાજકોટથી અપડાઉન કરતાં હોય કોર્પોરેશનમાં લેટ લતીફ તરીકે પણ અગાઉ વગોવાયેલા છે. તેઓ ગુટલીબાજ અધિકારી તરીકે પણ પ્રખ્યાત છે. તેઓ તોછડા જવાબો આપવા તથા જવાબો ન આપવા મુદ્દે પણ સૌ સંબંધિતોમાં જાણીતા હતાં. શિંગાળા જયાં સુધી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં રહ્યા ત્યાં સુધી એવા વહેમમાં રાચતા હતાં કે, આ વિભાગમાં તેઓ રાજા છે ! તેઓના આ વિભાગમાં કાર્યકાળ દરમ્યાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સતત ગંધાતો રહ્યો. કામોમાં અનિયમિતતાઓ, ગેરરીતિઓ, કૌભાંડો અને ફરજો પ્રત્યે ઉદાસીનતા અને બેદરકારીઓ સંબંધે આ અધિકારી પર લોકો દ્વારા થતી રજૂઆતોમાં, મીડિયામાં તથા જનરલ બોર્ડની બેઠકોમાં સેંકડો વખત આક્ષેપો થયા !
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કોન્ટ્રાક્ટરો પર પણ આ અધિકારીએ કથિત રીતે ચાર હાથ રાખ્યા હતાં એવી બૂમ પણ અનેકવાર ઉઠી. અને સૌથી વધુ મહત્વની બાબત એ રહી કે, લોકો તથા કોર્પોરેશનના હિતોની જાળવણી માટે, કોર્પોરેશનને નુકસાનીમાંથી બચાવવા Mysamachar.in દ્વારા આ અધિકારીને સાંકળતી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની અનેક બાબતો વિવિધ એપિસોડમાં સમાચાર તરીકે બેધડક રજૂ કરવામાં આવી. જેને પગલે કમિશનરે સમગ્ર વિષયને ગંભીરતાથી લઇ અને તલસ્પર્શી અભ્યાસ કરી, આ અધિકારીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાંથી ઉપાડીને હાઉસ ટેક્સ વિભાગમાં ફેંકી દીધાં છે. જયાં તેઓએ ફરજિયાત રીતે કોર્પોરેશનની આવક વધારવાની જવાબદારીઓ નિભાવવી પડશે, એ પ્રકારની કામગીરીઓ તેમને સોંપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશનમાં આ અધિકારીને જે કામો સોંપવામાં આવ્યા છે તે કામો ઘણાં સમયથી પડતર છે. તેથી કોર્પોરેશનને થનારી સંભવિત આવકો અટકી પડી છે. આમ કમિશનરે આ પગલું ભરી, આ વિવાદિત અધિકારીને પાઠ ભણાવવા સાથે સાથે કોર્પોરેશનના હિતનો પણ વિચાર કર્યો છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, શીંગાળાના સમયમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કામગીરીઓ સંભાળતા એક કોન્ટ્રાક્ટરના કરોડો રૂપિયાના બિલો પણ કમિશનર કાર્યાલયમાં લાંબા સમયથી પડતર છે. શકય છે શીંગાળાએ તેમાં ભજવેલી કથિત ભૂમિકા અંગે કમિશનરને વિગતો મળી ગઈ હોય.? શીંગાળાએ કરોડોના આ બિલો પાસ કરાવવા ઘણાં ધમપછાડા કર્યા હતાં એમ પણ કહેવાય છે, જો કે કમિશનર પાસે તેની કારી ફાવી નહીં, એવું આ બદલીઓથી સમજાઈ રહ્યું છે. જો કે સૂત્રો ત્યાં સુધી કહે છે કે, કરોડોના આ બિલો કેવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે ? તેની પણ તપાસ ચાલી રહી હોય, આ બિલો નજીકના સમયમાં મંજૂર થવાની શકયતાઓ ઓછી છે. જેને કારણે શાસકપક્ષ અને વિપક્ષમાં પણ અમુકને ચિંતાઓ હોવાનું કહેવાય છે ! જે એક રહસ્ય માનવામાં આવે છે.