Mysamachar.in:જામનગર
જામનગરનાં કલેકટર ડો. સૌરભ પારધીએ જામનગર જિલ્લા જેલની મુલાકાત લીધી હતી. તેઓએ જેલનાં રજિસ્ટર સહિતની વિગતો ચકાસી હતી. જેલમાં વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું તથા જેલનાં કેદીઓની મુલાકાત લીધી હતી. તેઓએ આ મુલાકાત દરમિયાન જેલનાં સ્ટાફની તથા કાચા-પાકા કામનાં કેદીઓ તથા ‘પાસા’ હેઠળ અન્ય જિલ્લાઓમાંથી આ જેલમાં લાવવામાં આવેલાં કેદીઓની વિગતો મેળવી હતી અને જેલનાં લોન્ડ્રી, રસોડાં તથા આરોગ્ય વિભાગની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓએ મહિલા કેદીઓનાં વિભાગ સહિતનાં જેલનાં 1 થી 7 યાર્ડનાં નિરીક્ષણ દરમિયાન કેટલાંક કેદીઓ સાથે વાતચીત કરી હતી અને વિગતોની જાણકારી મેળવી હતી. આ તકે જેલ વિભાગનાં સ્થાનિક વડા તેમજ નિવાસી અધિક કલેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને કલેક્ટરને માહિતીઓ પૂરી પાડી હતી.
અત્રે નોંધનીય છે કે, કાલે શુક્રવારે કલેકટરનો બદલીનો આદેશ થયો હતો, આ આદેશ પૂર્વે તેઓનો જામનગરમાં આ છેલ્લો કાર્યક્રમ હતો અને તેઓનાં કાર્યકાળ દરમિયાનની તેઓની આ છેલ્લી મુલાકાત રહી હતી. આ અગાઉ તેઓ જામનગરમાં કલેકટર તરીકે આવ્યા ત્યારે તેઓએ જેલની મુલાકાત લીધી હતી. તેઓએ શુક્રવારની આ મુલાકાત અને નિરીક્ષણ દરમિયાન જેલ સત્તાવાળાઓને કેટલીક સૂચનાઓ પણ આપી હતી. જો કે શું સૂચનાઓ આપી હતી ? તે જાહેર કરવામાં આવ્યું નથી.