Mysamachar.in:જામનગર
શ્રાવણ મહિનાનો ઇંતજાર હજારો નગરજનો અને લાખો બાળકોને હોય છે, કેમ કે આ દિવસોમાં જામનગરમાં વિખ્યાત લોકમેળો યોજાતો હોય છે. અને સેંકડો નાનાં મોટાં ધંધાર્થીઓ પણ દિવસોથી મેળામાં બે પૈસા કમાવી લેવા સખત જહેમત ઉઠાવતાં હોય છે. પરંતુ આ વખતે જામનગરમાં લોકોનાં મેળા બગડયા હોય તેવા અણસાર જોવા મળે છે.
કેમ કે, તંત્રોએ એટલે કે કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્ર એટલે કે SDM કચેરી અને મામલતદાર તંત્ર દ્વારા આ વર્ષે મેળાઓ માટે કોઈ જ તૈયારીઓ કરવામાં આવી નથી ! આથી લોકોએ પોતાનાં જોખમે મેળામાં જવાની તૈયારી રાખવી પડશે ! આ વર્ષે મેળાનાં આયોજનમાં દેખીતી રીતે જ લાલિયાવાડી જોવા મળી રહી છે !
કોર્પોરેશન અને વહીવટીતંત્ર મેળા પર નજર રાખી રહ્યા નથી ! ધંધાર્થીઓ પોતાની મેળે મેળો ગોઠવી રહ્યા છે ! આ મેળામાં અકસ્માત થશે તો જવાબદારીઓ કોઇની નહીં ! કારણ કે વહીવટીતંત્રમાં એવા કર્મચારીને જવાબદારીઓ આપવામાં આવી છે જેને મેળા વિષે કાંઈ ખબર પણ નથી અને ગતાગમ પણ નથી! આ કર્મચારીને હજુ ગત શનિવારે જ આ ખુરશી આપવામાં આવી! તેઓ માત્ર કાગળિયા ચીતરે છે, મેળા વિષે કાંઈ જાણતાં જ નથી! ખૂબીની વાત એ છે કે, SDM કચેરીમાંથી રાઈડસનાં જે ધંધાર્થીઓને લાયસન્સ આપવામાં તેઓ જ યાંત્રિક રાઈડસ ચાલુ કરી શકે. પરંતુ જાણવા મળે છે કે, આવડાં મોટાં મેળામાં માત્ર પાંચ જ ધંધાર્થીઓએ આ પરવાના માટે અરજી કરી છે, જે પૈકી માત્ર 3 ધંધાર્થીઓને જ પરવાનો આપવામાં આવ્યો છે, બાકીનો મેળો ગેરકાયદેસર ચાલશે ! એટલે નગરજનોએ પોતાનાં જોખમે જ મેળો માણવો એવું પણ કહી શકાય… અકસ્માત સર્જાશે તો કોઈ જવાબદારીઓ લેશે નહીં એવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે ! નગરજનોનાં હિત માટે Mysamachar.in ચિંતિત છે આથી અત્રે લાલબત્તી દેખાડવામાં આવી છે.
SDM કચેરીએ બે પર્ફોમન્સ લાયસન્સ માટેની અરજીઓ આજે છેક અન્ય તંત્રને મોકલવા ગતિવિધિઓ હાથ ધરી છે ! જામનગરની પરંપરા એવી છે કે, શ્રાવણ મહિનાનાં પ્રથમ સોમવારે મેળો ચાલુ થઈ જ જાય, આ વર્ષે તે શક્ય નથી. અને મેળો શરુ થશે તો તે ગેરકાયદેસર હશે! કોર્પોરેશન અને સ્થાનિક મહાનુભાવો પરંપરા મુજબ આજે સોમવારે મેળાનું ઉદઘાટન કરી શકશે નહીં. પહેલાં ગેરકાયદેસર મેળો ચાલુ થઈ જશે અને લોકો પોતાના જોખમે મેળો માણશે, પછી કોર્પોરેશન પોતાની અનુકૂળતાએ ખાલી નામ પૂરતું મેળાનું ઉદઘાટન કરશે ! કારણ કે, મેળાની રૂપિયા 3 કરોડની આવક ગજવામાં ઘાલી લેનાર કોર્પોરેશનની એસ્ટેટ શાખાનાં અધિકારીને એ પણ ખબર નથી કે મેળામાં યાંત્રિક રાઈડસ કેટલી છે ?!
લોકોએ આ મેળામાં અકસ્માતની સંભાવના ધ્યાનમાં રાખી મેળાથી દૂર રહેવું યોગ્ય લેખાશે. કારણ કે કોઈ દુર્ઘટના સર્જાશે તો તંત્રો જવાબદારીઓની ફેંકાફેંક કરશે. કારણ કે અત્યારે પણ મેળો શા માટે વિલંબથી આયોજિત થઈ રહ્યો છે એ જવાબ આપવામાં તંત્રો જવાબદારીઓની ફેંકાફેંકી કરી રહ્યા છે !
કોર્પોરેશનનાં એસ્ટેટ અધિકારી એન.આર.દીક્ષિત કહે છે કે…પ્રદર્શન મેદાન પર જે ખાનગી મેળો હતો તેણે છેક 13 ઓગસ્ટે જગ્યા ખાલી કરી તેથી મેળાનું આયોજન કરવામાં વિલંબ થયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રદર્શન મેદાનમાં તમામ પ્રકારનાં મેળાઓ માટે જગ્યાની ફાળવણી SDM કચેરી કરે છે. હાલમાં SDM ડી.ડી.શાહ દિલ્હી છે, તેઓએ પોતાના હોદ્દાનો ચાર્જ કોઈને સોંપ્યો નથી! સાવ અંધેર તંત્ર. અને SDM કચેરીમાં મેળાની જવાબદારીઓ સંભાળતા કર્મચારી તદન નવા અને સાવ અજાણ્યા ! આ સ્થિતિમાં મેળાનું આયોજન ઘોંચમાં પડયું છે. અને મેળાની મુલાકાત લેનાર લોકોની સલામતી પણ ખોરંભે ચઢી છે.