Mysamachar.in-ગાંધીનગર:
સમગ્ર રાજ્યના લોકોનો સરેરાશ અનુભવ એવો રહ્યો છે કે, બજારોમાં વેચાણ થતી વિવિધ ખાદ્ય ચીજો અને પાણી સહિતના પીણાંઓના વ્યવસાયોમાં સેંકડો પ્રકારની અનિયમિતતાઓ, ગેરરીતિઓ અને ઉઘાડેછોગ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. બીજી તરફ, સરકાર દ્વારા દર વર્ષે, સાતમી જૂને ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણીના ભાગરૂપે ‘સરકારી’ આંકડાઓ જાહેર કરી એવો ઢોલ પીટવામાં આવે છે કે, વર્ષ દરમ્યાન અમે આટલું કામ કર્યું.
આજે ખાદ્ય સુરક્ષા દિવસના અનુસંધાને સરકારે કામગીરીઓના અને કાર્યવાહીઓના જે આંકડાઓ જાહેર કર્યા છે, તેના પરથી કોઈ પણ વાચક સમજી શકશે કે, વર્ષના 365 દિવસ દરમ્યાન રાજ્યના 33 જિલ્લાઓમાં, આ ક્ષેત્રમાં માત્ર નામ પૂરતી કામગીરીઓ થઈ છે. અને, રાજ્યમાં આ માટે કાયદો કડક ન હોવાથી ‘કસૂરવારો’ વિરુદ્ધ કોઈ જ કડક કે પરિણામલક્ષી પગલાંઓ લેવાતા નથી. સરકારને દાયકાઓ સુધી, આ કાયદો કડક બનાવવાનું સૂઝયુ નથી, એ ખુદ અચરજ લેખાવી શકાય.

સરકારના આંકડાઓ કહે છે: રાજ્યમાં 365 દિવસ દરમ્યાન 190 દરોડા પાડવામાં આવ્યા. જેમાં રૂ. 10.50 કરોડનો ખાદ્ય પદાર્થ કબજે લેવાયો. વર્ષ દરમ્યાન 864 કેસ થયા અને રૂ. 6.21 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો. વર્ષ દરમ્યાન રાજ્યમાં 351 ટન શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો કબજે લેવામાં આવ્યો છે. વર્ષ દરમ્યાન 1.28 લાખ નવા ફૂડ લાયસન્સ આપવામાં આવ્યા. 23,570 ઈન્સ્પેક્શન કરવામાં આવ્યા. 12,334 હાઈ રિસ્ક ઈન્સ્પેક્શન કરવામાં આવ્યા.
વર્ષ 2024-25 માં 60,448 ખાદ્ય નમૂનાઓની લેબોરેટરીમાં ચકાસણીઓ કરવામાં આવી. જે પૈકી 1.45 ટકા નમૂનાઓ નાપાસ થયા. (તેનો અર્થ એ પણ થઈ શકે કે, ખાદ્ય ચીજોમાં ભેળસેળ જાણે કે થતી જ નથી !) કુલ નમૂનાઓ પૈકી માત્ર 0.17 ટકા નમૂનાઓમાં ખાદ્ય પદાર્થો અસુરક્ષિત જાહેર થયા.( એટલે કે, દર 100 પૈકી 99.83 ટકા ખાદ્ય પદાર્થો સુરક્ષિત છે).
સમગ્ર રાજ્યમાં વર્ષ દરમ્યાન માત્ર 15.3 ટન ખાદ્ય પદાર્થો એવા મળી આવ્યા જે બગડી ગયેલા અથવા સડી ગયેલા સાબિત થયા. બાકીના હજારો ટન ખાદ્ય પદાર્થો સુરક્ષિત અને ફ્રેશ- એમ સમજવું ?! આખા રાજ્યમાં સમગ્ર વર્ષ દરમ્યાન માત્ર 46 કેસમાં 67 ગુનેગાર સાબિત કરી શકાયા જેમને માત્ર રૂ. 24.26 લાખનો કુલ દંડ અને 6 મહિનાની સજા આપી છોડી મૂકવામાં આવ્યા.