Mysamachar.in:જામનગર
રસ્તે રઝળતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ માટે ભલે મનપાની ટીમ દ્વારા રસ્તે રઝળતા પશુઓને પકડી અને ઢોર ડબ્બા ખાતે લઇ જવામાં આવે તેનાથી વાંધો ના હોય શકે પરંતુ વારંવાર એવું સામે આવે છે કે પશુઓને પકડતી વેળાએ અમાનવીય રીતે પકડવામાં આવતા હોય છે. અને જેના કારણે કેટલીય વખત પશુઓ ઈજાગ્રસ્ત બનતા હોય છે, ત્યારે આજે જામનગરમાં આવી ઘટનાનું પુનરાવર્તન થતા હિન્દુ સેનાએ રોષ વ્યક્ત કર્યો છે. આજે જામનગર મહાનગર પાલિકાની ઢોર પકડવાની કામગીરીમાં બળજબરી થતી હોવાથી ગૌવંશનું મોત થયાનો હિંદુ સેનાએ આક્ષેપ સાથે જણાવ્યું છે કે ગૌવંશને આડેધડ પકડી અને ખીચોખચ પશુ પકડવાની ગાડીમાં ભરવામાં આવે છે. એવામાં આજે એક ગાય ઇજાગ્રસ્ત પામેલી જે ગાયનું મોત ઢોર પકડવાની ગાડીમાં જ થયું અને ગાય મોતને ભેટી હોવાનું હિંદુસેનાના પ્રતિક ભટ્ટ જણાવે છે ત્યારે આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ તેમના દ્વારા કરાઈ છે.