Mysamachar.in:જામનગર
જામનગરમાં ખાણીપીણીની ચીજોનાં ધંધાર્થીઓ બેદરકારીમાં અવ્વલ નંબરે છે ! અને આવા ધંધાર્થીઓ ગ્રાહકોને સોરી કહેવાને બદલે દાદાગીરી પણ કરી રહ્યા છે ! આ પ્રકારના ધંધાર્થીઓને તંત્રનો ડર નથી ?! પોતાનાં ધંધાની ગુડવિલ ખોવાનો પણ તેઓને ડર નથી ! આ પ્રકારના ધંધાર્થીઓ લાજવાને બદલે ગાજતા હોય એવાં પણ કિસ્સાઓ બનતાં હોય છે. આવો એક કિસ્સો, માય સમાચાર ડોટ ઈન ને એક વાંચકે મોકલ્યો છે.
શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં આશિર્વાદ ફૂડ કોર્ટ નામની ખાણીપીણીની એક જગ્યા આવેલી છે. આ ધંધાર્થીએ પોતાની બેદરકારી છતાં ગ્રાહક સાથે કેવું વર્તન કર્યું ?! તેની સિલસિલાબંધ વિગતો, ફોટોગ્રાફ તથા વીડિયોઝ માય સમાચાર ડોટ ઈન પાસે છે. આ ફૂડ કોર્ટનાં આ ગ્રાહક ઘણાં સમયથી માય સમાચાર ડોટ ઈન નાં નિયમિત વાંચક છે. તેઓએ આ તમામ વિગતો આપી છે.
આશિર્વાદ ફૂડ કોર્ટ ખાતે આ ગ્રાહક પોતાના પુત્ર અને મિત્રો સાથે જમવા માટે ગયા હતાં. તેઓએ મંગાવેલી ચીજોમાં જલેબીનો પણ સમાવેશ થતો હતો. આ જલેબીમાં કાળી-લાલ કીડીઓ જોવા મળી ! ગ્રાહકે આશિર્વાદ ફૂડ કોર્ટનાં સંચાલકને ફરિયાદ કરી. સંચાલકે કહ્યું : પૈસા પાછાં આપીએ. ગ્રાહકે કહ્યું : સવાલ પૈસાનો નથી, ખાદ્ય ચીજોમાં આવી બેદરકારી કેવી રીતે ચલાવી લેવાય ?! આશિર્વાદ ફૂડ કોર્ટનાં સંચાલકે આ ગ્રાહકને ‘સોરી’ કહેવાને બદલે એમ કહી દીધું કે, બીજી વખત અમારે ત્યાં જમવા ન આવતાં.
આ ધંધાર્થીને પોતાના ધંધાની પ્રતિષ્ઠા વ્હાલી નથી ?! ધંધાર્થીનો આ પ્રકારનો જવાબ વાજબી કહેવાય ?! ગ્રાહકોને આવા જવાબ આપતાં અને ખાદ્ય ચીજોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે બેદરકારી ધરાવતાં આ પ્રકારના ધંધાર્થીઓને ત્યાં ગ્રાહકો જાય શા માટે ?! એ પ્રશ્ન, ઉપરોક્ત બનાવ પછી ચર્ચામાં આવ્યો છે. અને, તંત્ર આ પ્રકારના ધંધાર્થીઓને દંડતુ શા માટે નથી ?! એવો પ્રશ્ન પણ નગરજનોમાં પૂછાઈ રહ્યો છે. તંત્ર અને બેદરકાર ધંધાર્થીઓ બોધપાઠ લેશે ?!