Mysamachar.in-જામનગર:
જામનગરમાં એડવોકેટ કિરીટ જોષીની કરપીણ અને સરાજાહેર ઘાતકી હત્યાને પગલે, શહેરમાં બે મોટી ઘટનાઓએ આકાર લીધો હતો, જેનાં પડઘાં આજે પણ પડઘાઈ રહ્યા છે. પ્રથમ ઘટના: ભૂમાફિયા જયેશ પટેલની કુંડળીમાં પાપગ્રહ રાહુની એન્ટ્રી થઈ. દેશ છોડી ભાગવું પડ્યું, મુઠ્ઠીઓ વાળીને. અને, બીજી ઘટના: સાઉથના સુપર કોપ અને જાંબાઝ IPS દીપન ભદ્રનની જામનગરમાં એન્ટ્રી થઈ. અચ્છા અચ્છા ધ્રૂજવા લાગ્યા. અને, ગુજસીટોક હેઠળનો રાજ્યનો પ્રથમ ગુન્હો જામનગર પોલીસમાં નોંધાયો, સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જયેશ વિરુદ્ધ અને, જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં કિરીટ જોષી મર્ડર કેસની વ્યાપક ચર્ચાઓ શરૂ થઈ.
સમગ્ર દેશમાં પ્રખ્યાત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ATSમાં તેજસ્વી કારકિર્દી ધરાવતા ભદ્રન જામનગર એસપી તરીકે આવતાં જ – જામનગરનું કરોડો રૂપિયાનું લેન્ડ ગ્રેબિંગ પ્રકરણ સમગ્ર રાજ્યમાં ચમક્યું અને શરૂ થયો જથ્થાબંધ ધરપકડોનો દૌર. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સોપો પડી ગયો. જામનગરમાં તો રીતસરની વીજળી ત્રાટકી ! શહેરમાં સંવેદનશીલ વિગતોની આપલે નગરજનોમાં પણ જોવા મળી. અને, બાહુબલિઓ પર કાયદો કાળ બનીને ત્રાટકયો.
દીપન ભદ્રનની જામનગરમાં શી ભૂમિકા રહી ? અને તેઓએ પોતાના એ રોલને કેવી બખૂબીથી નિભાવ્યો ? તે સૌ જાણે છે. આ ઉપરાંત તેઓએ ભૂતકાળમાં લાખ્ખો અનુયાયીઓનાં ભગવાન એવા આસારામને કેવી ટાઈટ રીતે જેલનાં સળિયા પાછળ ધકેલ્યા તે પણ જગજાહેર છે. સુરત પોલીસ કમિશનર તરીકે તેઓએ એક અન્ય ચકચારી કેસ – મા દીકરી હત્યા કેસમાં પ્રશંસનીય કામગીરી કરી દેખાડી હતી. આ ઉપરાંત સંખ્યાબંધ હાઈ પ્રોફાઈલ કેસો તેઓએ આગવી શૈલીમાં ઉકેલ્યા છે. હવે કેન્દ્ર સરકાર તેઓની અનોખી રીતે કદર કરવા જઈ રહી છે. તેઓને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી કુશલતા પદક દ્વારા સન્માનિત કરવામાં આવશે. તેઓની અસાધારણ રીતે ઇનપુટ્સ મેળવવાની સ્કીલને કેન્દ્ર સરકાર એવોર્ડ દ્વારા યાદગાર બનાવશે. તેઓની સાથે ગુજરાત પોલીસનાં પોલીસ ઇન્સ્પેકટર કિરણ ચૌધરીને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
જામનગરમાં શ્રેષ્ઠ કામગીરી બાદ તેઓને ડીઆઇજીનું પ્રમોશન મળતા તેવો હાલ ગુજરાત ATSમાં ફરજ બજાવી અને ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે.ભદ્રનના સીધા માર્ગદર્શનમાં એટીએસ ટીમ ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાની દિશામાં વિવિધ સફળ ઓપરેશનો પાર પાડી રહી છે જેની નોંધ પણ સરકાર દ્વારા અવારનવાર લેવામાં આવે છે.