Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં અગિયારમાં વરસાદી પાણીનાં વહેણના અવરોધો દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જામ્યુકોનાં SSI કક્ષાનાં કર્મચારી પર થયેલાં હુમલાને જેએમસી ટેકનિકલ યુનિયને પૂર્વયોજિત કાવતરું લેખાવ્યું છે અને કસૂરવાર ઈસમો વિરૂદ્ધ દાખલારૂપ તથા કડક કાર્યવાહી થાય, એ પ્રકારની માંગણી સાથેનું આવેદનપત્ર કમિશનરને સોંપ્યું છે.
જામ્યુકોમાં આજે સવારે જેએમસી ટેકનિકલ યુનિયને કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. આ યુનિયનના પ્રમુખ (ઇન્ચાર્જ નાયબ કમિશનર) ભાવેશ જાનીની આગેવાની હેઠળ આપવામાં આવેલાં આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ભારે વરસાદને કારણે વોર્ડ નં અગિયારમાં પાણી ભરાવાનો જે પ્રશ્ન ઉભો થયો છે, તેનું આગામી સમયમાં પુનરાવર્તન ન થાય તે માટે આ વોર્ડમાં પાણીનાં વહેણમાં અવરોધરૂપ હોય તેવા દબાણો અને બાંધકામો દૂર કરવાની કામગીરી જેએમસી દ્વારા હાથ ધરવામાં આવી છે.
જેએમસી દ્વારા આ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ કામગીરી કરાવી રહેલાં SSI યુવરાજસિંહ કંચવા પર હુમલો થયો છે. આ હુમલો સ્થાનિક લોકોએ કર્યો હતો અને તેઓએ અન્ય વિસ્તારોમાંથી પોતાના સાગરિતોને બોલાવી આ હુમલો કર્યો હતો. તેનો અર્થ એ થાય કે, આ હુમલો પૂર્વ આયોજિત ષડ્યંત્ર હતું. આ વિસ્તારમાં જાહેર રસ્તા પછી બે થી ત્રણ ઈસમો દ્વારા પોતાના મકાનોની સામે પાણીનાં વહેણને અવરોધરૂપ થાય તે રીતે ઓટલા કરેલા છે. જેઓને એસ્ટેટ શાખા દ્વારા સ્વેચ્છાએ દૂર કરવા મુદ્ત પણ આપવામાં આવી હતી. આમ છતાં સ્થાનિકોએ પોતાના સાગરિતોને બોલાવી જેએમસીની આ કામગીરી અટકાવવા ષડયંત્ર રચ્યું હતું.
આવેદનપત્રમાં જણાવાયું છે કે, જેએમસીનાં કર્મચારીઓ નિષ્ઠાથી સતત કામગીરી કરી રહ્યા હોય, કર્મચારીઓનાં જુસ્સા અને નૈતિકતા પર વિપરીત અસરો ન થાય તે માટે આ પ્રકારના હુમલાનાં આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી દ્વારા દાખલારૂપ અને સખત પગલાં લેવા માટે ઘટતું બધું જ થાય તે ઇચ્છનીય લેખાય એમ જણાતાં આપ સમક્ષ આ રજૂઆત કરવામાં આવી છે એમ આવેદનપત્રમાં અંતમાં જણાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં સામસામી પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. અને પોલીસ બનાવની તપાસ ચલાવી રહી છે.