Mysamachar.in-જામનગર:
જામનગરમાં આવેલ સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જીજી હોસ્પીટલના કેન્સર વિભાગમાં તબીબોની નિમણુક કરવા ધારસભ્ય વિક્રમ માડમે આરોગ્ય મંત્રીને પત્ર લખી માગ કરી છે.જામનગર જિલ્લામાં ગુજરાતની બીજા નંબરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના લોકો સારવાર માટે આવે છે અને ખાસ કરીને આર્થિક રીતે નબળા દર્દીઓ માટે જામનગરની જી.જી. હોસ્પિટલ વરદાન રૂપ છે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં હાલમાં કેન્સર વિભાગમાં કેન્સરથી પીડીત દર્દીઓને રેડીયો થેરાપી આપવા માટે નવા મશીનો વસાવવામાં આવ્યા છે. હાલમાં કેન્સર વિભાગમાં ૫૦ જેટલા દર્દીઓ સારવાર લઈ રહયા છે. કેન્સરનો ઈલાજ કરાવવા માટે જામનગર, દ્વારકા, જુનાગઢ, રાજકોટ, મોરબી જેવા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ માંથી અહીં સારવાર કરાવવા આવે છે પરંતુ હાલમાં કેન્સર વિભાગમાં ડોકટર ના હોવાના કારણે દર્દીઓની સારવારમાં મુશ્કેલી ભોગવવાનો વારોં આવે છે અને તમામ દર્દીઓને સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી જી.જી. હોસ્પિટલ હોવા છતા તેમના ઈલાજ માટે અમદાવાદ કે અન્ય જગ્યાએ જવુ પડે છે.કેન્સર પીડીતોની સંખ્યાને ધ્યાનમાં રાખી જામનગરની જી.જી.હોસ્પિટલમાં આવેલ કેન્સર વિભાગમાં તાત્કાલીક ધોરણે નવા ડોકટરની નિમણૂક કરવામાં આવે તેવી માંગ રાજ્યના આરોગ્યમંત્રી સમક્ષ ખંભાળિયા ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા કરવામાં આવી છે.