Mysamachar.in-અમદાવાદ:
ગઈકાલે ગુરૂવારે બપોરે અમદાવાદમાં સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટના બાદ, કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ ઘટનાસ્થળની તથા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આજે સવારે નવેક વાગ્યા આસપાસ વડાપ્રધાને આ જગ્યાની તથા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બીજી તરફ હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા મૃતદેહોના પોસ્ટમોર્ટમ અને મૃતકોની ઓળખ માટે મૃતકોના પરિવારજનોના DNA ટેસ્ટ માટેની કામગીરીઓ કરવામાં આવી રહી છે.
આજે સવારે નવ વાગ્યે વડાપ્રધાન મોદીએ અમદાવાદના મેઘાણીનગર ખાતે આ ભયાનક દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધી હતી. કામગીરીઓ નિહાળી હતી અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ પાસેથી જરૂરી જાણકારીઓ પ્રાપ્ત કરી આવશ્યક માર્ગદર્શન આપ્યું હતું.
ત્યારબાદ વડાપ્રધાને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ, આ દુર્ઘટનામાં બચી ગયેલા એક માત્ર પ્રવાસી કે જેની હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તેની મુલાકાત લઈ ખબરઅંતર પૂછ્યા હતાં. ત્યારબાદ વડાપ્રધાન એરપોર્ટ પર ગયા હતાં. આ સમયે સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી લંડનથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હોય, વડાપ્રધાને તેમને મળી સાંત્વના આપી હતી અને બાદમાં વડાપ્રધાન દિલ્હી પરત ફરવા રવાના થયા હતાં. વડાપ્રધાનની આજની આ મુલાકાત દરમ્યાન કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે રહ્યા હતાં અને વડાપ્રધાનને કેટલીક મહત્વપૂર્ણ જાણકારીઓ આપી હતી.
-દુર્ઘટના બાદની મેડિકલ કામગીરીઓ અને પરિવારજનોના હીબકાં…
ગુરૂવારની આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો માર્યા ગયા છે જેમાં 4 પાયલોટ સહિતના 12 ક્રૂ મેમ્બર્સનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જે મેડિકલ હોસ્ટેલ સાથે વિમાન અથડાઈને સળગી ગયેલું એ હોસ્ટેલમાં રહેતા 50 થી 60 જેટલા તબીબી વિદ્યાર્થીઓ અને આ હોસ્ટેલમાં કાર્યરત સ્ટાફના કેટલાંક લોકોનો પણ આ દુર્ઘટનામાં ભોગ લેવાયો છે.
કેટલાંક તબીબી વિદ્યાર્થીઓ અને હોસ્ટેલ સ્ટાફના કેટલાંક લોકો હજુ પણ લાપતા છે. એમના પરિવારજનો હૈયાફાટ રૂદન કરી રહ્યા છે અને લાપતા થયેલા પોતાના સ્વજનોને શોધી કાઢવા સંબંધિત તંત્રોને આજીજી કરી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં સ્મશાનવત્ સન્નાટો પથરાયેલો છે અને હજારો લોકો આઘાતમાં છે.
બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 168થી વધુ મૃતદેહના પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યા છે. અને મૃતદેહોની ઓળખ માટે આ મૃતક મુસાફરોના પરિવારજનોના DNA સેમ્પલ લેવાની કામગીરીઓ થઈ રહી છે. મૃતદેહો સંપૂર્ણ સળગી ચૂક્યા છે અને વિકૃત સ્થિતિઓમાં હોય, મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટ એક જ ઉપાય બાકી બચ્યો છે. અત્યાર સુધીમાં 200થી વધુ પરિવારજનોના DNA સેમ્પલ લેવાઈ ચૂક્યા છે