Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતના અમદાવાદ ખાતે ગત્ 12મી જૂને સર્જાયેલી આ સદીની સૌથી ભીષણ વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. અને સરકાર પણ આ દુર્ઘટનાની તપાસ સંબંધે અતિશય ગંભીર અને સંવેદનશીલ હોય, વિમાનમાં ‘ભાંગફોડ’ની શકયતાઓ સહિત બધાં જ એંગલથી તપાસ ચાલી રહી હોવાનો દાવો સરકાર દ્વારા એક નેશનલ ચેનલ પર exclusive રીતે થયો છે.
જે કોર્પોરેટ જૂથ અમદાવાદ એરપોર્ટનું સંચાલન કરે છે એ જ જૂથની અગ્રણી નેશનલ ન્યૂઝ ચેનલ પર નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યમંત્રી મુરલીધર મોહોલનો આ exclusive interview પ્રસારિત થયો છે, જેમાં મંત્રીએ કહ્યું કે- આ ભયાનક દુર્ઘટનાની તપાસ બધાં જ એંગલથી થઈ રહી છે. આ મુલાકાતમાં મંત્રીને એવો પણ પ્રશ્ન પૂછાયો હતો કે, વિમાનને તોડી પાડવા અંગેનો કોઈ પણ પ્રયાસ થયો હોય, એ દિશામાં પણ તપાસ થઈ રહી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ ઉપરોકત નિવેદન આપ્યું છે.
મંત્રી મુરલીધર મોહોલએ આ મુલાકાતમાં એમ પણ જણાવ્યું કે, અમદાવાદ એરપોર્ટ પર દુર્ઘટના અગાઉના 30 દિવસ દરમ્યાન કોણે કોણે અવરજવર કરી, એ તમામ વ્યક્તિના રેકોર્ડ, આ તમામ વ્યક્તિઓના પાસપોર્ટ વગેરે બધી જ બાબતોની ચકાસણીઓ થઈ રહી છે. આ ઉપરાંત એમણે એમ પણ કહ્યું કે, વિમાનના બ્લેકબોકસની તપાસ ભારતમાં જ થશે. બ્લેકબોકસના ડેટાને રિકવર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત દુર્ઘટના સમયે અને તે અગાઉ વિમાનના પાઇલટ અને સહપાઇલટ વચ્ચે શું શું વાતચીત થઈ તેનું જે રેકોર્ડિંગ કોકપીટ વોઈસ રેકોર્ડરમાં હોય છે તેનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સંખ્યાબંધ એજન્સીઓને તપાસમાં જોડવામાં આવી છે અને તપાસનો પ્રથમ તથા પ્રાથમિક રિપોર્ટ 12 સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થવાની સંભાવનાઓ છે.
મંત્રીએ આ મુલાકાતમાં એ બાબતે અચરજ વ્યક્ત કર્યું હતું કે, વિમાનના બંને એન્જિન પૈકી એક પણ એન્જિન ચાલુ ન થઈ શકે એવું કયારેય બન્યું નથી, આ એક ‘રેર’ ઘટના છે. આથી વિમાનના ઈંધણની તેમજ ઈંધણ એન્જિન સુધી પહોંચવાની સમગ્ર પ્રક્રિયાઓનો ઉંડાણથી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. હાલ દુર્ઘટનાના કારણ અંગે કશું જ કહી શકાય નહીં પરંતુ નિષ્ણાંતો દ્વારા બધાં જ સંભવિત કારણો અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મંત્રીના આ ઈન્ટરવ્યૂ બાદ દેશભરમાં આ ભયાનક વિમાન દુર્ઘટના અંગે નવેસરથી ચર્ચાઓ શરૂ થઈ છે.(file image)