Mysamachar.in-જામનગર:
જામનગર કાલાવડ હાઈવે પર પસાયાબેરાજા ગામ નજીક આજે એક 13 વર્ષીય તરુણની હત્યાથી સનસનાટી મચી જવા પામી છે માથામાં અને શરીરમાં આડેધડ ઘા મારી અને ગુપ્તાંગ કાપી નાખી હત્યાનો આ બનાવ સવારે સામે આવતા પંચકોશી એ ડીવીઝન પોલીસ, એલસીબી સહિતની ટીમો તપાસ અર્થે દોડી ગઈ હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે પસાયા બેરાજા ગામે રહેતા અને ખેતમજુરી કરતા આદિવાસી પરિવારના 13 વર્ષીય પંકજ કાળુભાઈ ડામોરની કોઈ શખ્સો દ્વારા માથા તેમજ શરીર પર આડેધડ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે, વધુમાં આ તરુણની હત્યામાં સૌથી ચોકાવનારી બાબત એ છે કે તેનું ગુપ્તાંગ પણ હત્યારાઓ દ્વારા ક્રુરતાપૂર્વક કાપી નાખવામાં આવ્યું છે અને બેરાજાની સીમમાં જે જગ્યાએ આ હત્યાનો બનાવ સામે આવ્યો છે ત્યાંથી મૃતકનો ઘર થોડે દુર આવેલ હોવાનું જાણવા મળે છે, સમગ્ર ઘટના અંગે પંચકોશી એ ડીવીઝન પોલીસ ઉપરાંત એલસીબી એફએસએલ સહીત ઉચ્ચ અધિકારીઓની ટીમો સ્થળ પર તપાસ કરી રહી છે અને હત્યારા કોઈ જાણભેદુ જ હોવાની પોલીસ આશંકા સેવી રહી છે.