Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતના એક લોન ટ્રાન્ઝેક્શન મામલામાં પોલીસે સીધું જ બચાવપક્ષના વકીલને સમન્સ મોકલતા, આ મામલો છેક સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો અને સુપ્રિમ કોર્ટે પોલીસના આ સમન્સ પર હાલ સ્ટે મૂકી દીધો છે. આ કેસ સુપ્રિમ કોર્ટમાં ચાલવા પર આવતા 2 ન્યાયમૂર્તિની બેન્ચે અવલોકન કર્યું કે, કાનૂની વ્યવસાય ન્યાય પ્રણાલીની પ્રક્રિયાનો એક અનિવાર્ય હિસ્સો છે. કોઈ કેસમાં પક્ષકારોને સલાહ આપતા બચાવપક્ષના એડવોકેટને સીધા સમન્સ કરવાની તપાસ એજન્સી કે પોલીસને પરવાનગી આપવાથી આ કાનૂની વ્યવસાયની સ્વાયત્તતાને ગંભીર નુકસાન થશે અને ન્યાય પ્રણાલીની સ્વતંત્રતા માટે તે સીધો ખતરો પણ બનશે.
ગુજરાતના એક એડવોકેટની અરજીની સુનાવણીઓ દરમ્યાન સુપ્રિમ કોર્ટ દ્વારા આ અવલોકન કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનિય છે કે, લોન ટ્રાન્ઝેક્શનનો એક કેસ છે, જેમાં આ એડવોકેટ બચાવપક્ષના વકીલ છે. પોલીસે આ વકીલને સીધું જ સમન્સ આપેલું છે. તે સમન્સને અગાઉ ગુજરાતની વડી અદાલતમાં પડકારવામાં આવ્યું હતું. પરંતુ વડી અદાલતે પોલીસના, વકીલને અપાયેલા આ સમન્સને રદ્દ કરવાનો ઈન્કાર કરી દીધો હતો તેથી આ એડવોકેટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી.
આ લોન ટ્રાન્ઝેક્શન કેસમાં એક આસામીએ સામેની વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી. જો કે આ આરોપીને અગાઉ સેશન્સ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવેલ છે. પરંતુ આ આરોપીને સલાહ આપવાના મામલે પોલીસે આ આરોપીના એડવોકેટને ઉપરોકત સમન્સ આપ્યું હતું. આ સમન્સનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચતા અદાલતે સમન્સ પર સ્ટે આપી, આ સંબંધે ગુજરાત સરકારને નોટિસ આપી છે અને જવાબ માગ્યો છે.