Mysamachar.in-અમદાવાદ:
આજના જમાનામાં સૌ કોઈ માટે મોબાઈલ એક એવું વળગણ બની ગયો છે કે, લોકો બિનજરૂરી રીતે કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત રહેતાં હોય છે અને તેને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ પણ પેદાં થઈ રહી છે. ખુદ મુખ્યમંત્રીએ એક જાહેર કાર્યક્રમમાં આ બાબતે ચિંતાઓ સાથે ટકોર કરવી પડી છે.
તાજેતરમાં ગુજરાતમાં એશિયાટીક સિંહોની વસતિ ગણતરી હાથ ધરવામાં આવેલી. ત્યારબાદ આ વસતિ ગણતરીના આંકડા ખુદ મુખ્યમંત્રીએ એક સરકારી કાર્યક્રમમાં જાહેર કર્યા. આ કાર્યક્રમ દરમ્યાન સંબોધન સમયે મુખ્યમંત્રીએ નોંધ લીધી કે, એક સરકારી અધિકારી આ કાર્યક્રમમાં મોબાઈલમાં વ્યસ્ત હતાં.

આ સમયે સંબોધનમાં મુખ્યમંત્રીએ આ વાત અલગ રીતે વણી લીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આપણે સૌ મોબાઈલમાં ઘૂસી ગયા છીએ. મોબાઈલ એવી વસ્તુ છે કે કોઈ તેમાં એક વખત ઘૂસી જાય તો તેમાંથી બહાર આવવું મુશ્કેલ બની જાય. આપણે સૌ મોબાઈલમાં ઘૂસી ગયા છીએ. આપણાં બાળકોને પણ મોબાઈલનું વળગણ છે. આપણે ખુદ મોબાઈલના આદતી બની ગયા છીએ, આપણે આપણાં ભવિષ્ય એવા સંતાનોને પણ આ વળગણમાંથી મુક્ત કરવા પડશે. આ માટે આપણે સૌએ સાથે મળીને કંઈક વિચારવું પડશે. કેમ કે, આ વાત આપણને સૌને લાગુ પડે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, મોબાઈલના માધ્યમથી અનેક પ્રકારના ગુનાઓ પણ થાય છે. છેતરપિંડીઓ રોજિંદી બાબત બની ગઈ છે. મોબાઈલના સતત ઉપયોગને કારણે ઘણાં લોકો શારીરિક અને માનસિક બિમારીઓનો ભોગ બની રહ્યા છે. મોબાઈલના માધ્યમથી સામાજિક ક્ષેત્રમાં પણ અનેક પ્રકારની માઠી અસરો જોવા મળી રહી છે. મોબાઈલના નિરંકુશ ઉપયોગથી ઘણાં પરિવારો પણ અવળી અસરોનો સામનો કરી રહ્યા છે. મોબાઈલને કારણે આપઘાતો થવાના બનાવો પણ નોંધાઈ રહ્યા છે. મોબાઈલના શ્રેષ્ઠ ઉપયોગની સરખામણીએ તેની સાથે સંબંધિત નકારાત્મક બાબતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ પ્રકારની સ્થિતિઓ વચ્ચે મુખ્યમંત્રીએ વ્યક્ત કરેલી ચિંતાઓ અને ટકોર સમયસરની લેખાવી શકાય. આપણે સૌ નવેસરથી આ બાબત અંગે વિચારીશું ?? (ફાઈલ તસ્વીર)
