Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લા પંચાયત હસ્તક વર્ષ 2022-23 માં શાળાઓમાં કન્યાઓને સ્વરક્ષણ તાલીમ માટેની યોજના સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ યોજનાનો અમલ યોગ્ય રીતે થયો ન હતો અને આ અમલમાં તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ભૂમિકા અયોગ્ય હોવાનો રિપોર્ટ ખુદ DDOએ ગાંધીનગર મોકલતાં અને કસૂરવાર વિરુદ્ધ શિક્ષાત્મક પગલાંની ભલામણ કરતાં, જામનગર જિલ્લા પંચાયતમાં સોપો પડી ગયો છે.
જામનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગત્ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આ પત્ર રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને લખવામાં આવેલો. જેમાં જણાવાયું છે કે, વર્ષ 2022 અને 2023 દરમિયાન તત્કાલીન DPEOએ આ કામ સંબંધે સૂચનાઓનો અમલ કર્યો ન હતો. અને મનસ્વી રીતે કાર્યવાહીઓ કરી, તેની રેકોર્ડ પર નોંધ પણ કરી ન હતી.
CM જાડેજા નામના આ તત્કાલીન DPEOએ DDOની મંજૂરી લીધાં વિના ગીર સોમનાથ જિલ્લાના કરાટે એસોસિએશન(સંદીપ રાઠોડ)ને આ સ્વરક્ષણ તાલીમ માટેનો વર્કઓર્ડર આપી દીધો હતો. આ અધિકારીની આ બેદરકારીઓ બાબતે અહેવાલ પણ મંગાવવામાં આવેલો. જેમાં આ અધિકારીને બેદરકારી અને મનસ્વી કાર્યવાહીઓ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતાં.
આમ આ અધિકારીએ સરકારી યોજનાના લાભો શાળાના બાળકો સુધી પહોંચાડવામાં બેદરકારીઓ દાખવેલ છે તેમજ ઉપરી અધિકારી, DDO ના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલી બેઠકમાં DDOની સૂચનાઓ અવગણી તદ્દન મનસ્વી રીતે કાર્યવાહી નોંધ તૈયાર કરી, નિયમોનું ઉલ્લંઘન કરી પોતાની રીતે એજન્સી નક્કી કરી, તેને વર્ક ઓર્ડર આપી દીધો હતો, એમ ગાંધીનગર મોકલવામાં આવેલાં આ પત્રમાં જિલ્લા વિકાસ અધિકારીએ લખ્યું છે. જેમાં આગળ જણાવાયું છે કે, આ બધી બાબતો આ અધિકારીની નિષ્ઠા અને પ્રમાણિકતા સામે સવાલો ઉભા કરે છે. અને આ પ્રક્રિયામાં સરકારના નીતિનિયમોની જોગવાઈઓ મુજબ અમલવારી ન કરવામાં આવી હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવેલ છે.
આ પત્રના અંતમાં DDO લખે છે: પ્રસ્તુત બાબતોનું સમગ્ર અવલોકન કરતાં CM જાડેજા દ્વારા આ પ્રકારની ફરજ પ્રત્યેની બેદરકારી અને મનમાની કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાને પાત્ર નથી, જે ધ્યાને લઈ આ અધિકારી વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા અત્રેથી ભલામણ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કન્યાઓને સ્વરક્ષણ તાલીમ માટેનો આ આખો મામલો રૂ. 69.84 લાખની આસપાસ હોવાનું જેતે સમયે જાહેર થયેલું. જેમાં બે ફોર્મેટ હતાં અને જિલ્લાની કુલ 632 સ્કૂલ માટે આ આખી વ્યવસ્થા ગોઠવવાની થતી હતી, એમ આ પત્ર જણાવે છે. DDO દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને આ પત્ર લખવામાં આવ્યા બાદ નિયામક દ્વારા આ અંગે તત્કાલીન CM જાડેજા પાસે 7 દિવસમાં ખુલાસો માગવામાં આવ્યો હતો પણ તે જામનગરના અધિકારીઓ સુધી ના પહોચ્યો હોવાનું આજે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેતાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.જો કે જાણકારો કહે છે કે આ સમગ્ર મામલામાં અન્ય કેટલાકની સંડોવણી પણ હોય શકે જેમાં સર્વ શિક્ષા અભિયાનના સ્ટાફની ભૂમિકા પણ ચકાસવી જોઈએ તો વધુ ખુલાસાઓ આ મામલે થઇ શકે તેમ છે.