Mysamachar.in-જામનગર:
મહિલા સશક્તિકરણની વાતો મોટા અવાજે અને વારંવાર થતી રહેતી હોય છે, પરંતુ તેની પાછળની હકીકતો એટલી ઉત્સાહજનક હોતી નથી. આજની તારીખે પણ જાહેર જીવનમાં મોટાભાગના કેસમાં મહિલાઓ માત્ર મહોરું હોય છે, એકંદરે તમામ ‘વહીવટ’ તેમના પતિઓ જ કરતાં હોય છે. દાખલા તરીકે ગામડાંઓમાં તો મહિલા સરપંચના પતિને લોકો SP (સરપંચ પતિ) કહે છે અને તેઓ જવાબદારીઓ વિનાની બધી જ સતાઓ ભોગવતાં હોય છે.
સામાન્ય રીતે જાહેર અથવા સરકારી કાર્યક્રમમાં જ્યારે જ્યારે મહિલા સશક્તિકરણની વાત નીકળે છે ત્યારે અથવા જાણીજોઈ આવી વાતો માંડવામાં આવે છે ત્યારે ત્યારે, મહિલાઓ વિશે લાંબા અને કંટાળાજનક તથા ઘસાયેલી વાતો સાથેના ભાષણો ઝીંકાતા હોય છે. હકીકત એ જોવા મળે છે કે, જાહેર જીવનમાં રહેલી મહિલાઓ માત્ર મહોરું હોય છે, કાં તો તેમનો પતિ અથવા નજીક સરકી ગયેલ કોઈ સલાહકાર આ મહિલાઓનો રાજકીય સોગઠાંબાજીમાં તથા ‘વહીવટ’ માં ઉપયોગ કરી લેતાં હોય છે.
જામનગર જિલ્લા પંચાયતનો દાખલો તાજો છે. તાજેતરમાં જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના ત્રણ મહિલા સદસ્યના પતિદેવો ઉપસ્થિત રહ્યા હતાં ! તેઓ આ બેઠકમાં અપેક્ષિત હોતાં જ નથી. અને વધુ અચરજની વાત એ છે કે, આ પતિદેવોએ ખાસ સામાન્ય સભાની ચર્ચાઓમાં પણ ભાગ લીધો !! જવાબદારોએ આ ગંભીર મામલો ચલાવી પણ લીધો.
મહિલા સરપંચ અને મહિલા કોર્પોરેટરના મોટાભાગના કેસોમાં પણ, આવું બનતું હોય છે. તેઓના પતિઓ જ મોટાભાગના મામલાઓ નિપટાવી લેતાં હોય છે, ‘વહીવટ’ સંબંધિત અને પક્ષીય લેવલે, આ ઓપન સિક્રેટ સૌ જાણે છે અને આમ જ બધું ચાલતું રહે છે, કારણ કે, મહિલાઓનો જાહેર જીવનમાં મોટેભાગે માત્ર મહોરાં તરીકે ઉપયોગ જ થતો રહેતો હોય છે. આ મુદ્દો લોકશાહીની કેટલીક મર્યાદાઓ પૈકીનો એક છે. મહિલાઓનાં મતો મેળવવા રાજકીય પક્ષો આ ટેકનિકનો વ્યાપક સ્તરે ઉપયોગ અને દુરુપયોગ કરી રહ્યા હોય, આ મામલે કેટલાંક કડક ધોરણો દાખલ કરવાની આવશ્યકતા દેખાઈ રહી છે. અન્યથા આ બિનતંદુરસ્ત પ્રણાલી ચાલતી રહેશે અને મહિલાઓનું સશક્તિકરણ ખરાં અર્થમાં છેટું જ રહેવા પામશે.