Mysamachar.in-ગુજરાત:
કોરોના વખતે ભારત સહિતના વિશ્વના દેશો ઉંઘતા ઝડપાઈ ગયા હતાં, કોઈએ કશી આગોતરી તૈયારીઓ કરી ન હતી અને દુનિયા આખી ભયાનક કોરોનાની ચપેટમાં આવી ગયેલી અને કરોડો લોકો મોતનો કોળિયો બની ગયા હતાં. આ વખતે એવી ખોફનાક સ્થિતિ અચાનક પેદાં થાય એ પહેલાં આપણે સૌએ અત્યારથી તૈયારીઓ કરી લેવી જોઈએ એમ વિશ્વ આરોગ્ય સંસ્થા-WHOના વડાએ ચેતવણી આપતાં કહ્યું છે.
તેઓએ આ ગંભીર ચેતવણી દાવોસ ખાતેના ગ્લોબલ મંચ પરથી જાહેર કરી છે. ચેતવણી સમયે તેઓએ કહ્યું: કોરોના કરતાં 20 ગણી ખતરનાક મહામારી આગામી સમયમાં ત્રાટકી શકે છે. આમ બને અને આપણે સૌ આ ભયાનક મહામારીનો શિકાર બની જઈએ એ પહેલાં આપણે આ સંભવિત મહામારી સામે લડવા તૈયારીઓ કરી લેવી જોઈએ. કોરોના વખતે થયેલી ભૂલનું આ વખતે પુનરાવર્તન ટાળવું જોઈએ.
WHOના વડા ટેડ્રોસ ઘેબ્રેયેસસે દાવોસમાં વૈશ્વિક સંમેલનમાં આ ગંભીર ચેતવણી આપતાં કહ્યું, આગામી મહિનાઓમાં વિશ્વભરમાં કોઈ એક સ્થળે અથવા ઘણાં બધાં દેશોમાં ડીસીઝ એક્સ નામની મહાઘાતક મહામારી ત્રાટકી શકે છે. આ મહામારીના લક્ષણો અને તીવ્રતા અંગે હાલ આપણી પાસે ચોક્કસ વિગતો નથી. આપણાં માટે આ મહામારી અજાણ હશે. એટલે જ આપણે તેને ડીસીઝ એક્સ કહીએ છીએ, આપણી પાસે હાલ બે જ વિગતો છે. એક, આ સંભવિત મહામારી કોરોનાની સરખામણીએ 20 ગણી વધુ ખતરનાક પૂરવાર થઈ શકે છે, બીજી બાબત: આ મહામારી મે મહિના બાદ ગમે ત્યારે ત્રાટકી શકે છે.
આ બે બાબતોને ધ્યાન પર લઈ વિશ્વના તમામ દેશોએ આ સંભવિત મહાઘાતક મહામારી સામે એકજૂથ થઈ લડવા અને તેની માઠી અસરોથી બચવા, મે મહિના અગાઉ આ મહામારી સંબંધે ‘ રોગચાળાનો કરાર ‘ કરી લેવો જોઈએ. અત્યારથી સમજૂતી કરી લેવી જોઈએ. જેથી આપણે સૌ સાથે મળી તૈયારીઓ કરી શકીએ અને સંભવિત મહામારીની અસરોથી એટલાં પ્રમાણમાં બચી શકીએ કેમ કે, કોરોના વખતે આપણે બહુ ગુમાવી ચુક્યા છીએ અને વધારામાં આ સંભવિત મહામારી કોરોના કરતાં 20 ગણી શક્તિશાળી હોવા સંભાવનાઓ છે.