Mysamachar.in-જામનગર:
છેલ્લાં કેટલાંક સમયથી જામનગર એરપોર્ટ ખાતે વિસ્તરણ અને નવીનીકરણ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે, તે દરમિયાન આજે એક અકસ્માત દુર્ઘટના બની છે જેમાં એક કામદારનું મોત થયું છે અને એકની સ્થિતિ ગંભીર ગણાવવામાં આવી રહી છે. જો કે, એરપોર્ટ ઓથોરિટી આ બનાવ પર ઢાંકપિછોડો કરી રહી છે. એરપોર્ટ ઓથોરિટી ઈચ્છે છે કે, આ અંગેની કોઈ જ વિગતો બહાર ન આવે, કેમ કે આ અકસ્માત ઓથોરિટીની બેદરકારીને પરિણામે સર્જાયો હોવાનું જાણવા મળે છે.
કોઈ પણ સ્થળે બાંધકામ નિર્માણ કે અન્ય કોઈ વિસ્તરણ અથવા નવીનીકરણની કામગીરીઓ ચાલી રહી હોય ત્યારે સંબંધિત વિભાગે તથા વિભાગના વડાએ કામદારો સહિતના સૌની સલામતી અને સુરક્ષાના ચાંપતા પગલાંઓ લેવા અનિવાર્ય હોય છે. પરંતુ એરપોર્ટ જેવી સંવેદનશીલ જગ્યા પર, આ ઘટનામાં સંબંધિતોની બેદરકારીને પરિણામે એક કામદારનું મોત નિપજયું છે અને અન્ય એક કામદાર ઘાયલ હોવા છતાં એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા આ હકીકત મીડિયાકર્મીઓ સુધી ન પહોંચે તે માટેના બાલિશ પ્રયાસો થઈ રહ્યા છે જે દર્શાવે છે કે, આ દુર્ઘટના સત્તાવાળાઓની ચૂકને કારણે સર્જાઈ હોય શકે છે. જેને કારણે એક જિંદગી ભડથું થઇ ગઇ છે.
આજે સવારે એરપોર્ટ નજીકના વિસ્તારમાં આ કામગીરીઓ ચાલી રહી હતી ત્યારે કોન્ટ્રાક્ટરનો એક કામદાર હાઈટેન્શન વીજલાઈનના સંપર્કમાં આવી જતાં આ કામદાર ઘટનાસ્થળે જ સંપૂર્ણ સળગી ઉઠ્યો હતો. જેને પરિણામે સમગ્ર એરપોર્ટ સંકુલમાં દોડધામ મચી ગઈ હતી. એમ જાણવા મળે છે કે, એરપોર્ટ હદની શરૂઆત થાય છે ત્યાં આવેલા દરવાજાની કલરકામની કામગીરીઓ દરમિયાન આ બનાવ બન્યો હતો જેમાં એક કામદારના મોત ઉપરાંત અન્ય એક કામદાર બહુ ખરાબ રીતે વીજશોકના કારણે દાઝી ગયો છે.જેને તાકીદની સઘન સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ દુર્ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટૂકડી તથા એરપોર્ટ પોલીસ વગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને સમગ્ર એરપોર્ટ સંકુલમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.