Mysamachar.in-જામનગર:
ખનિજચોરી સમગ્ર રાજ્યમાં હોટટોપિક રહે છે તેથી જામનગર-હાલારમાં પણ થોડાં થોડાં સમયે ખનિજચોરી અને દંડની રકમ સમાચાર બનતી રહે છે. વ્યાપક ખનિજચોરીને કારણે, સરકારની તિજોરીને પણ આવક થઈ રહી છે, આમ છતાં ખનિજચોરી તો ચાલતી જ રહે છે, ખનિજચોરોને દંડ ભરવો પોસાય છે, એ પણ જાણવા જેવો મુદ્દો છે.
જામનગર ભૂસ્તરશાસ્ત્ર વિભાગે ગાંધીનગર સાથેના પત્રવ્યવહારમાં એક સ્થળે ઉલ્લેખ કર્યો છે કે, જામનગર જિલ્લાના જોડિયા ઉપરાંત મોરબી સહિતને સાંકળતા કચ્છ કોસ્ટલ હાઈવેનું કામ કરતી કંપની દિલીપ બિલ્ડકોને જેટલું ખનિજ ખોદયું છે તે જથ્થો અને નિકાસ કરેલાં જથ્થા વચ્ચે તફાવત છે અને તે અનુસંધાને આ કંપની પાસેથી રૂ. 25 લાખની રકમ દંડના સ્વરૂપમાં વસૂલ કરવામાં આવી છે.
સૂત્રના કહેવા મુજબ, આ કંપનીને ખનિજચોરી ખૂબ જ માફક આવી ગઈ છે. જામનગર ખાણખનીજ વિભાગના અધિકારીએ ટેલીફોનીક વાતચીતમાં કહ્યું કે પાછલાં ત્રણ વર્ષ દરમિયાન આ કંપનીએ રૂ. 5 કરોડની રકમ તો દંડ સ્વરૂપે ચૂકવવી પડી છે, તેના પરથી સમજી શકાય કે, ખનિજચોરી કેટલાં મોટાં પ્રમાણમાં થઈ રહી છે. આ કંપનીને સરકારે કોસ્ટલ હાઈવેનું કામ આપ્યું છે. આ કામની સાથે-સાથે કંપની ખનિજચોરી ચિક્કાર કરે છે.
જામનગર ભૂસ્તરવિભાગના અધિકારીએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં એમ પણ જણાવ્યું કે, તાજેતરમાં હિતેશ ચનિયારા નામના આસામીને પણ ખનિજચોરી બદલ રૂ. 40 લાખનો દંડ કરવામાં આવ્યો છે. સૂત્રોએ કહ્યું કે, આ આસામી એક મહાનુભાવનો ભત્રીજો છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, સુરેન્દ્રનગર અને પોરબંદર જેવા લોકેશન સહિત સમગ્ર રાજયમાં ખનિજચોરી ઘણાં બધાં લોકોનો મુખ્ય વ્યવસાય અથવા સાઈડ બિઝનેસ છે, કેમ કે તેમાં કાળી કમાણી ચિક્કાર છે અને પીઠબળ હોય તો, આ ધંધો એકદમ સહેલો છે.