Mysamachar.in-જામનગર:
આજના સમયમાં કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહિ તે ભારે કઠીન થઇ ચુક્યું છે, કારણ કે જેના પર આપણે આંખ બંધ કરીને વિશ્વાસ મુકીએ તે નજીકના હોય કે દુરના તે જ વિશ્વાઘાત અને છેતરપીંડી કરે છે તેવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે એવામાં વધુ ચોકાવનારો કિસ્સો જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા સામે આવ્યો છે જેમાં પોતાની જ ફઈબા સાથે બે ભત્રીજાઓએ કરોડોનો પોતાના ખાતામાં સેરવી લઇ અને વિશ્વાઘાત છેતરપીંડી કર્યાની ફરિયાદ જાહેર થઇ છે. આ અંગેની જાહેર થયેલ વિગતો એવી છે કે..
67 વર્ષીય દિવ્યાબેન વિપુલભાઇ વોરા જેવો યુ.કે. રહે છે અને હાલ જામનગર,દિગ્વિજય પ્લોટ-49 ખાતે વસવાટ કરે છે તેવોએ કુણાલ વિનોદરાય શાહ અને કેયુર વિનોદરાય શાહ જે બન્ને જામનગર શહેરના ખોડીયાર કોલોની,વૃંદાવન સોસાયટીમાં વસવાટ કરે છે તેની સામે છેતરપીંડી વિશ્વાઘાત, ખોટા દસ્તાવેજને ખરા તરીકે રજુ કરવા સહિતની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.
જેમાં દિવ્યાબેને તેના બન્ને ભત્રીજાઓએ વિશ્વાસમાં લઇ જામનગર એકસીસ બેંક અને આઇ.ડી.એફ.સી.બેંકમાં એકાઉન્ટ ખોલાવેલ હતુ અને બેંકનુ સાહિત્ય કુણાલ અને કેયુર શાહને સાચવવા આપેલ હતુ તેમજ વિશ્વાસ અને ભરોસે બેક એકાઉન્ટનો હિસાબ રાખવાની મૌખીક સમજુતી થયેલ હોય આ દરમ્યાન કેયુર વિનોદરાય શાહે ફરીયાદી તેમના ફઈબાના આઇ.ડી.એફ.સી.બેંકના જોઇન્ટ એકાઉન્ટમાંથી 17099955 તથા એકસીસ બેંકના એકાઉન્ટમાંથી ખોટુ રીટેઇલ આઉટવર્ડ રેમીટેન્સ ફોર્મ ભરી તેમાં ફરીયાદીની ખોટી સહીઓ કરી 24/04/2018 ના રોજ બે કરોડ છ હજાર વીસ તથા તાઃ06/06/2018 ના રોજ એક કરોડ નવાણુ લાખ છનુ હજાર ત્રણસો એકોતેર કૃણાલ શાહના કેનેડાના એકાઉન્ટમાં કુલ રૂપીયા પાંચ કરોડ એકોતેર લાખ બે હજાર ત્રણસો છેતાલીસ ટ્રાન્સફર કરાવી લઇ ફરીયાદી દિવ્યાબેનની ખોટી સહીઓ કરી આ ફોર્મ બેંકમાં ઉપયોગ કરી બન્ને ત્હોમતદારો છેતરપીંડી, વિશ્વાસઘાત કર્યા સબબની ફરિયાદ પરથી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ઇન્સ્પેકટર એન.એ.ચાવડા કરી રહ્યા છે.

























































