Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની કુંડળીમાં ભ્રષ્ટાચાર નામનો સાપ દાયકાઓથી કુંડાળું વળી બેઠો છે, થોડાં થોડાં સમયે અમુક લોકો આ સાપને લાકડી અડાડવાનો અભિનય કરે છે, પછી આ લાકડીધારીઓ પડદાં પાછળ જતાં રહે છે. જેને પરિણામે આ સાપ દાયકાઓથી સલામત છે. વધુ એક વખત, ભ્રષ્ટાચારના આ સાપને કોઈએ લાકડી અડકાવી છે. જનરલ બોર્ડની બેઠકમાં આ મામલો ઉઠતાં શાસકપક્ષમાં સોપો પડી ગયો હતો.
જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં નગરસેવિકા રચનાબેન નંદાણિયાએ ગોકુલ મંડપ સર્વિસના નામનો ઉલ્લેખ કરતાં સન્નાટો છવાઈ ગયો હતો. આ મંડપ સર્વિસ એક કોર્પોરેટરની છે.? ( આ મંડપ સર્વિસના સંચાલકનું નામ સંજય સોરઠીયા જાહેર થયું છે) કોર્પોરેશન કોઈ કારણસર માત્ર આ એક જ મંડપ સર્વિસને વારંવાર લાખો રૂપિયાના કામો આપે છે. આ કામ આપતી વખતે ટેન્ડર મંગાવવાનું પણ ટાળવામાં આવે છે અને વરસોથી કોર્પોરેશન આ મંડપ સર્વિસને કામો ફરીથી આપવા નિર્ણયો લ્યે છે. આ પ્રકારના વિવિધ અને ચોંકાવનારા આક્ષેપ નગરસવિકાએ જનરલ બોર્ડની બેઠકમાં કરતાં, શિયાળો છતાં, આ બેઠકમાં ગરમાવો વ્યાપી ગયો હતો.
કોઈ કારણસર, જનરલ બોર્ડની આ બેઠકમાં મેયર તથા ચેરમેન દ્વારા આ આક્ષેપોને Nil કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને બચાવમાં એમ કહેવાયું કે, બધું કામ નિયમો મુજબ કરવામાં આવે છે, અમોને મળેલી સતાનો ઉપયોગ કરીને અમો નિર્ણય લઈ રહ્યા છીએ. આડકતરી રીતે તેઓએ આ કથિત કૌભાંડની તપાસની માંગ ફગાવી દીધી અને મંડપ સર્વિસની તરફેણમાં વાતાવરણ તૈયાર કરી લીધું.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના હોય કે વાવાઝોડાં જેવી કોઈ કુદરતી આફતો હોય કે પછી કોર્પોરેશનના કોઈ કાર્યક્રમો હોય- મંડપ સહિતની બાબતો જામનગરમાં હંમેશા ચર્ચાઓમાં રહી છે, જનરલ બોર્ડમાં તો આ મામલો હવે આવ્યો. વરસોથી શાણાં નગરજનો કોર્પોરેશનને નજીકથી ઓળખે છે. ઉડાઉ ખર્ચાઓ અંગે અવારનવાર ઉહાપોહ થાય છે. નાણાંકીય ગેરરીતિઓ અને મનસ્વી ચૂકવણાઓ મહાનગરપાલિકાની મોનોપોલી રહી છે. મંડપ સર્વિસ વગેરે ખર્ચના બિલો તપાસ કર્યા વિના, તાકીદે પાસ કરાવવા સંબંધિતો પર કાયમ દબાણ રહેતું હોય છે. અને, આ અંગેની ચર્ચાઓ કોર્પોરેશનમાં શાસકપક્ષ તથા વિપક્ષના સભ્યો છૂટથી કરતાં હોય છે.
નગરસવિકાએ જનરલ બોર્ડમાં એમ પણ કહ્યું કે, ખુરશીઓ અને ગાદલાં જેવી ચીજવસ્તુુઓ કાર્યક્રમ વખતે આવી હોય, તેના કરતાં અનેકગણી સંખ્યા બિલોમાં લખવામાં આવે છે અને આ બિલો ધડાધડ મંજૂર પણ થઈ જતાં હોય છે. આ પ્રકારના આક્ષેપોનો જવાબ બોર્ડમાં પદાધિકારીઓ કે અધિકારીઓ આપી શક્યા ન હતાં. જો કે, કોર્પોરેશનમાં આ પ્રકારની બબાલોની કોઈને હવે નવાઈ રહી નથી, કેમ કે છેલ્લે શું થાય છે, તે સૌ જાણે છે. બેચાર દિવસ કોઠીનો કાદવ ઉલેચાય અથવા હાલકડોલક થઈ જાય, એટલું જ- પછી સૌ શાંત. બધાં, બધું ભૂલી જાય.
-આ મંડપ સર્વિસ પર કોર્પોરેશનને આટલો બધો પ્રેમ કાં ?!
અત્રે ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશન મંડપ સર્વિસ સહિતના આ પ્રકારના કામો વરસોથી એક જ પાર્ટીને આપે છે, શહેરમાં આટલાં બધાં મંડપ ધંધાર્થીઓ છતાં કોર્પોરેશનનો આ પાર્ટી પ્રત્યેનો મોહ ખુદ શંકાઓ જન્માવે છે, આ પાર્ટી વરસોથી કોર્પોરેશનની તિજોરીમાંથી દલ્લો ઉસેડે છે,એવું નગરસવિકાએ સામાન્ય સભામાં અસામાન્ય શબ્દોમાં કહી દીધું. એટલે ખરેખર તો, કચરાકાંડમાં જેમ એક વિપક્ષ સભ્યનું નામ ઉછળ્યું હતું અને તપાસ સમિતિ બેસાડી દેવાઈ હતી તે માફક આમાં પણ કોર્પોરેશને આક્ષેપમાંથી બહાર આવવા અને કયા કોર્પોરેટર આમાં કથિત રીતે સંકળાયેલા છે, તે જાણવા તપાસ સમિતિની રચના કરવી જોઈએ તેમ પણ જાણકારો કહે છે.
જો કે અચરજની વાત એ પણ છે કે, નગરસવિકાએ આટલો બધો ઉહાપોહ જનરલ બોર્ડમાં મચાવ્યો પરંતુ મીડિયાકર્મીઓ સમક્ષ આ કોર્પોરેટરનું નામ લેવાનું ટાળી દીધું!! ત્યારે કોર્પોરેશનની તિજોરીની આ કથિત લૂંટ અટકાવવા તથા દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા- આ સમગ્ર મામલાની ઉંડી તપાસ જરૂરી બની ગઈ હોવાનું જાણકારો માની રહ્યા છે.