Mysamachar.in:જામનગર
જામનગર શહેરમાં આજે કાલાવડ નાકા બહારથી મટન માર્કેટ સુધીના રસ્તા પર ડીમોલીશન કરવાની કાર્યવાહી મનપાની એસ્ટેટ ટીમ દ્વારા શરુ કરવામાં આવી હતી. 18 મીટરના રસ્તા પર નડતરરૂપ ઓટલા સહિતના જે દબાણો વગેરે દુર કરવા માટે મનપાની ટીમ આજે પોલીસ બંદોબસ્ત સાથે પહોચી હતી, આ ડીમોલીશન શરુ થતા સ્થાનિક કોર્પોરેટરો અસ્લમ ખીલજી અને જેનબ ખફી પણ ત્યાં પહોચ્યા હતા અને એસ્ટેટ વિભાગ પર કિન્નાખોરી અને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.તો એસ્ટેટ અધિકારી દીક્ષિતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે 18 મીટરમાં જે દબાણો જે દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દુર કરી રહ્યા છીએ અને વિરોધ થઇ રહ્યો છે. જયારે દીક્ષિતે આક્ષેપ અંગે કહ્યું કે મારી પર આક્ષેપ સાબિત થશે તો હું નોકરીમાંથી રાજીનામું આપી દઈશ.
-વિસ્તારના કોર્પોરેટર અસ્લમ ખીલજીએ એસ્ટેટ અધિકારીને અરીસો બતાવ્યો
આજે કાલાવડ નાકા બહાર મનપાની એસ્ટેટ વિભાગની બહાદુર કહેવાતી ટીમ એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિતની આગેવાનીમાં દબાણો હટાવવા માટે પહોચી ત્યારે સ્થાનિક કોર્પોરેટર અસ્લમ ખીલજી અને જેનબ ખફી પણ ત્યાં પહોચ્યા હતા ત્યારે અસ્લમ ખીલજીએ એસ્ટેટ અધિકારીનો ઉધળો લઇ અને શહેરમાં કેટલા ગેરકાયદે દબાણો છે જેમાં ટાઉનહોલ નજીકની દુકાનો સહિતનો ઉલ્લેખ કરી અને અરીસો બતાવી બોલતી બંધ કરી દીધી હતી અને બે દિવસમાં અહી સ્વૈચ્છીક દબાણો દુર કરી લેવાશે તેમ અધિકારીને કહ્યું હતું.