Mysamachar.in:જામનગર
જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં અને દેશમાં પણ, હાર્ટએટેક અને તેને પરિણામે નીપજતાં મોતનાં કિસ્સાઓની સંખ્યા વધી છે, વધી રહી છે ! અને અચરજની વાત એ છે કે, નાની વયનાં લોકો પણ આ બિમારીનો શિકાર બની રહ્યા છે ! સાથેસાથે એ પણ નોંધનીય છે કે, આ પ્રકારનું બિહામણું ચિત્ર કોરોનાકાળ પછી જોવા મળી રહ્યું છે ! હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહયા છે. તેમાં પણ ઝડપથી મોતનાં કિસ્સાઓની સંખ્યા પણ મોટી જોવા મળે છે. અને, નાની ઉંમરના લોકો પણ આ પ્રકારની બિમારીનો શિકાર બની રહ્યા હોય, સર્વત્ર એક અજીબ દહેશતપૂર્ણ વાતાવરણ છે. લોકો અંદરથી થથરી રહ્યા છે ! આ ગભરાટને કારણે ઘણાં લોકો માનસિક ભય પણ અનુભવી રહ્યા છે !
જામનગરની તાજેતરની વાત કરીએ તો, છેલ્લાં થોડાં મહિનાઓમાં જ શહેરનાં બે તબીબોની જિંદગીઓ હાર્ટએટેકની બિમારી ઝૂંટવી ગઈ છે ! અને આ તબીબો ઉપરાંત પણ નાની વયનાં સેંકડો લોકો હાર્ટએટેકનો શિકાર બની રહ્યા છે ! જેને કારણે લોકોમાં ફફડાટ છે.
જામનગરનાં એક નિષ્ણાત તબીબે Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, સામાન્ય રીતે 50 થી વધુ વયની વ્યક્તિને છાતીમાં બળતરાં કે છાતીનાં દુઃખાવા કે પછી થાક લાગવો, હાંફ ચડવી જેવાં લક્ષણો દેખાતા હોય ત્યારે તેઓ એલર્ટ બની જતાં હોય છે અને મેડિકલ ચેકઅપ કરાવી લેતાં હોય છે. પરંતુ 20 થી 40-45-50 સુધીની વયનાં નિરોગી લોકોને પણ અચાનક એટેક આવી રહ્યા છે ! અને, અચાનક મોત થઈ રહ્યા છે ! આ પ્રકારના કેસોમાં દર્દીને કોઈ લક્ષણો દેખાતા નથી ! જેને કારણે તેઓ એલર્ટ બને તે પહેલાં જ મોત ત્રાટકે છે ! અને, આ પ્રકારના કિસ્સાઓ કોરોનાકાળ પછી વધી રહ્યા છે ! જો કે આ મુદ્દો કોરોના કે વેક્સિન સાથે સંકળાયેલો છે કે કેમ ? તે અંગે કશું કહી શકાય નહીં. આ વિષય સંશોધનનો છે. ડેટાનો અભ્યાસ થવો આવશ્યક છે. તેમ એક નિષ્ણાંત તબીબે જણાવ્યું.
જામનગરમાં થોડાં સમય પહેલાં ડો.સંજીવ ચગનું અવસાન તીવ્ર એટેકથી થયેલું. તેઓ વોકીંગ કરી રહ્યા હતાં ત્યારે આ બનાવ બનેલો. ત્યારબાદ આજે વહેલી સવારે એસટી ડેપો સામે શારદા હોસ્પીટલમાં સેવા આપતા ખ્યાતનામ હ્રદયરોગ નિષ્ણાત ડો.ગૌરાંગ ગાંધીનું હ્રદયરોગના હુમલાથી અવસાન થતાં શહેરમાં ખાસ કરીને તબીબી વર્તુળમાં ગમગીન માહોલ સર્જાયો છે. માત્ર 41 વર્ષની ઉંમરે હ્રદયરોગ નિષ્ણાત ખુદ હ્રદયરોગ હુમલાનો ભોગ બને, એ બાબત સૌ કોઈ માટે અચરજ છે. જામનગરના વિખ્યાત કાર્ડીયોલોજીસ્ટ ડો.ગૌરવ ગાંધીનું આજે વહેલી સવારે કાર્ડીયાક એરેસ્ટના કારણે નિધન થતાં તબીબી જગતમાં આઘાતની આંધી ફેલાઇ છે, હદય બંધ શું કામ પડી ગયું ? એ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, સાંજે સદગતની અંતિમ યાત્રા નિકળશે, તેઓ પોતાની પાછળ વૃઘ્ધ માતા-પિતા, પત્ની, બે સંતાન અને બહેન-બનેવીને વિલાપ કરતા છોડી ગયા છે, આ પ્રકારના તબીબો પોતાની તંદુરસ્તી અંગે ખૂબ એલર્ટ હોય છે એવી માન્યતા સૌ કોઈ ધરાવતાં હોય જ છે.