Mysamachar.in:જામનગર
જે રીતે ચોમાસામાં પાણીજન્ય રોગચાળો ફેલાતો હોય છે એ રીતે ઉનાળામાં પણ જુદાં જ કારણોસર પાણીજન્ય રોગચાળો પ્રસરી શકે છે. આપણે સૌએ તથા તંત્રોએ પીવાનાં પાણી મુદ્દે જાગરૂકતા દાખવવી આવશ્યક છે. જો કે અફસોસની વાત એ છે કે, જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા લોકો જે પાણી પિએ છે તેની ગુણવત્તા અંગે ચિંતિત કે ગંભીર નથી ! સામાન્ય રીતે ઉનાળાનાં દિવસોમાં પાણીનાં સ્ત્રોતો એવાં જળાશયોમાં પાણી ઘટી જતું હોય છે. જેને પરિણામે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મહાનગરપાલિકાઓ, પાલિકાઓ વગેરે) ડેમનાં ડેડવોટરનો ઉપયોગ કરવા મજબૂર બનતી હોય છે. આ ડેડવોટરમાં સામાન્ય રીતે ઘણાં પ્રકારની અશુદ્ધિઓ ભળેલી હોય છે, જેને કારણે જો આ પાણીને વપરાશમાં લેતાં પહેલાં તેનું શુદ્ધિકરણ યોગ્ય પ્રમાણમાં કરવામાં ન આવે તો રોગચાળાની શક્યતાઓ વધી જતી હોય છે.
આ ઉપરાંત બજારમાં જે બોટલ્ડ પાણી મળે છે તે સામાન્ય રીતે ભૂગર્ભજળ હોય છે. ઉનાળામાં ભૂગર્ભજળનાં સ્તર નીચે ઉતરી જતાં હોય છે, જેથી પાણીની ક્વોલિટી ડાઉન થતી હોય છે. આ સ્થિતિમાં ઉત્પાદકોએ પાણીની ક્વોલિટી જાળવવા વિશેષ કાળજી લેવી જોઈએ. જો કે જામનગર શહેર અને જિલ્લામાં આ માટે મહાનગરપાલિકા અથવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ! લાખ્ખો લોકોનાં આરોગ્યને ભગવાનનાં ભરોસે અથવા પાણીનાં ધંધાર્થીઓનાં હવાલે છોડી દેવામાં આવે છે !
આ ઉપરાંત બોટલ્ડ પાણી વેચતી કંપનીઓએ ISO માન્ય પ્લાસ્ટિક બોટલનો જ ઉપયોગ કરવાનો હોય છે. સામાન્ય પ્લાસ્ટિક બોટલનુ પ્લાસ્ટિક પાણી સાથે પ્રક્રિયા કરે છે જેને પરિણામે આવું પાણી માનવ આરોગ્ય માટે ખતરો બનતું હોય છે ! આમ છતાં સતાવાળાઓ આ દિશામાં અસરકારક અને ઝડપભેર કામગીરી કે કાર્યવાહી કરતાં હોતાં નથી ! સામાન્ય રીતે ઉનાળામાં નબળાં પાણીને કારણે ઝાડા, ઉલ્ટી, ટાઈફોઈડ અને કમળા જેવાં રોગો થતાં અને વકરતાં હોય છે તે બાબત ધ્યાનમાં રાખી આપણે જે પાણી પીવાનાં ઉપયોગમાં લઇએ તે પાણી પૂરતું શુદ્ધ અને હાઈજિનિક છે કે કેમ ? તેની ખાતરી કરીએ તે આવશ્યક છે. મહાનગરપાલિકાએ પણ ઉનાળામાં સંભવિત રોગચાળો ધ્યાનમાં રાખી અત્યારથી આ દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરવી જોઈએ એવી નગરજનોની લાગણી જોવા મળે છે.