Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાનું તંત્ર રેઢીયાળ છે.અને તેના અનેક કિસ્સાઓ અવારનાવર સામે આવતા રહે છે, એક તો સ્વભંડોળમાં સીમિત આવક છે, અને દરેક નાના થી મોટા કામો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર ગ્રાન્ટો માટે આધાર રાખવો પડે છે પદાધિકારીઓ તો બિચારા તળિયા ગાંધીનગર સુધી ઘસી આવે છે કારણ કે વિકાસ કરવાનો છે શહેરનો ભાઈ…અને વધુમાં સ્વચ્છ શહેરના બણગા ફૂંકવા કોને ના ગમે જયારે રાજ્ય અને કેન્દ્રના નેતાઓ સ્વચ્છતા મિશનની વાતો કરતા હોય તો સ્થાનિક નેતાઓ કેમ બાકાત રહે..એવામાં જામનગર શહેરમાં જેટલો વાર્ષિક ખર્ચ સફાઈ પાછળ થાય છે તેના પ્રમાણમાં શહેર કેટલું સ્વચ્છ છે તે સૌ જાણે છે. એવામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષો પૂર્વે મળનાર ગ્રાન્ટ અંગે ડીપીઆર તૈયાર થયા અને તે મુજબની મોટાભાગની ગ્રાન્ટ જામનગર મહાનગરપાલિકાને મળી અધિકારીઓની અણઆવડત કે અયોગ્ય આયોજન આ ગ્રાન્ટ પૈકીની મોટાભાગની ગ્રાન્ટ વણ વપરાયેલી રહેતા આ ગ્રાન્ટ પરત કરવાનો વારો આવ્યો છે.અને આ માટેની તૈયારીઓ સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે જેનાથી શરમજનક બાબત આ શહેર માટે શું હોય શકે…?
જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડીપીઆર તૈયાર થયેલ તે મુજબ મંજુર થયેલ ગ્રાન્ટ 31 કરોડ હતી જેમાંથી 22 કરોડ જેટલી ગ્રાન્ટ તબક્કાવાર આવી હતી અને તેમાંથી 11 કરોડ જેટલો ખર્ચ થયો છે જયારે 11 કરોડ જેવી ગ્રાંટ વણવપરાયેલી હોવાનું જાણવા મળે છે. હવે વિગતવાર વિષય પર જઈએ તો વર્ષ 2016માં જામનગર મહાનગરપાલિકા દ્વારા અન્ય મહાનગરપાલિકાઓની જેમ ડીટેઈલ્સ પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરી 31 કરોડની ગ્રાન્ટ માટે માગની મુકવામાં આવી હતી જેમાંથી જામનગર મહાનગરપાલિકાને સ્વચ્છ ભારત મીશન અર્બન તરીકે વર્ષ 2016માં 22 કરોડની ગ્રાન્ટ મળી હતી મંજુર કરેલી ગ્રાન્ટમાંથી જામનગર મનપા વાપરી શક્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા બાકીના નાણા જમા કરાવી દેવા મ્યુ.તંત્રને આદેશ કરવામાં આવતા ચર્ચા જાગી છે.હવે આટલા સમય સુધીમાં આ ગ્રાન્ટ ના વાપરી તેના માટે જવાબદાર કોણ તે નક્કી થવું જોઈએ..
એક તો વાર્ષિક કરોડો રૂપિયાના એજન્સીઓ પાછળ ખર્ચ પછી પણ શહેર કેટલું સ્વચ્છ છે તે ખુદ સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓ પણ ભલીભાતી જાણે છે, જામનગર શહેરમાંથી ગંદકી દુર થાય, કચરાના નિકાલની વ્યવસ્થા વધુ સુદ્રઢ થાય, રોગચાળાની નાબુદી થાય તે માટે વર્ષ 206માં કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મીશન અર્બન હેઠળ જામનગર મહાનગરપાલિકા માટે રૂા.૩1 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી. જેમાંથી મહાનગરપાલિકાના તંત્રએ ગંદકી અને કચરા નિકાલના પ્રશ્નો ઉકેલીને શહેરને સ્વચ્છતા તરફ દોરી જવાના કાર્યો કરવાના રહેતા હતા. જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ, ડસ્ટબીન વિતરણ, મોટા ડસ્ટબીનની ખરીદી સહિતના કાર્યો કરવામાં આવ્યા હતા. તેમ છતાં મળેલી ગ્રાન્ટનો પુરતો ઉપયોગ મ્યુ.તંત્ર કરી શક્યું નથી. તંત્રએ પાંચ વર્ષમાં આ ગ્રાન્ટમાંથી માત્ર 11 કરોડ જેટલા રૂપિયા વાપર્યા છે. સરકાર હવે ફરી આ જ ગ્રાન્ટ પુનઃ આપી શકે છે. પરંતુ ગ્રાન્ટ વપરાઈ નથી અને શહેરના જાહેર ઉકરડા અને રખડતા પશુઓની સમસ્યા યથાવત રહી છે.હવે આ ગ્રાન્ટ પરત કરવાનો ઓર્ડર તો આવી ચુક્યો છે ત્યારે હવે આ ગ્રાન્ટ પરત મળે તેવા સંજોગો હાલ પૂરતા દેખાતા નથી.
-સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓ ગ્રાન્ટના મુદ્દે ગોળ ગોળ જવાબ આપે છે
આ મામલે સોલીડ વેસ્ટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા અને નાયબ ઈજનેર દીપક શિંગાળાને આ મામલે હવે શું તે જાણવા માટે પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે બન્નેએ ગોળ ગોળ જવાબ આપી આ ગ્રાન્ટો અંતર્ગત ઘણા કામો થયા છે તેવો રાગાલાપ આપ્યો હતો.પરંતુ ચોક્કસ સ્પષ્ટતા નહોતી કરી.