Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના કોંગી અગ્રણી અને હંમેશા લોકોના અને ખેડૂતોના પ્રશ્નો પર સજાગ રહી અને મુદ્દાસર લોકહિતમાં રજૂઆત કરતા અગ્રણી મુળુભાઈ કંડોરિયા દ્વારા વધુ એક રજૂઆત રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને કરવામાં આવી છે. મુળુભાઈ દ્વારા કરવામાં આવેલ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે કલ્યાણપુર તાલુકા રાવલ વિસ્તારમાં ત્રણ વખત પુર આવેલ જેના કારણે રાવલ પ્રેમસર, ટંકારીયા, સુર્યાવદર, ચંન્દ્રાવાડા, સણોસરી, વિગેરે ગામોમાં પૂરના કારણે જમીનનું ધોવાણ થયેલ છે. અને ત્યાં સુધી કે જમીનો પાક લેવા જેવી રહી નથી, વાવણી પછી 50 દીવસ સુધી કલ્યાણપુર અને ઓખામંડળ વરસાદ થયેલ ન હતો જેના કારણે ધણા બધા ગામોમાં પાક નિષ્ફળ ગયેલ છે. તેવી રજૂઆત જાગૃત પ્રતિનિધિ એવા મુળુભાઈ સુધી પહોચી છે.
તો ઓખામંડળ અને કલ્યાણપુર કાઠી વિસ્તારમાં પાછોતરો વરસાદ થયેલ છે. જેથી પાછતરી વાવણી થયેલ છે. તુરંત સતત બે માસ સુધી વરસાદ ચાલુ રહેતા પાછતરો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે. બે વર્ષથી પાક વિમો યોજના રદ થયેલ છે. જેથી જે ગામ અને ખેડૂતોનો પોતાનો પાક નિષ્ફળ ગયેલ છે. તેમને કોઈ સરકાર તરફથી સહાય મળેલ નથી ખેડુત સરકાર પાસેથી કમ સે કમ પોતાનો પાક નિષ્ફળ જાય ત્યારે ફરી વખત પાક લઈ શકાય તેવી જમીન સમથળ કરવા તેમજ બીયારણ વીગેરે બીજા પાક લેવા સરકાર તરફથી મદદ મળે તેવી ખેડૂતોની અપેક્ષા હોય પરંતુ સરકાર ખેડૂતોની અપેક્ષા સંતોષવામાં નિષ્ફળ નીવડેલ છે. જેથી મુળુભાઈ કંડોરિયા દ્વારા મુખ્યમંત્રીને કરેલ રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે વ્યાપક ખેડૂતવર્ગના હિતમાં કૃષિરાહત પેકેજમાં કલ્યાણપુર અને ઓખામંડળ તાલુકાનો સમાવેશ કરવામા આવે અને જે ખેડૂતોને નુકશાન થયેલ છે. તેમને આર્થીક રીતે ઉભા કરવા રાહત પેકેજ આપવામાં આવે તેવી ભારપૂર્વકની રજૂઆત મુળુભાઈ કંડોરિયા દ્વારા કરવામાં આવેલ છે.