Mysamachar.in-જામનગર:
જો માણસ એક વખત વ્યાજના વિષચક્રમા ફસાઈ જાય તો તેને બહાર નીકળવું ખુબ કઠીન થઇ જતું હોય છે,જામનગરમાં પણ એવા કેટલાય વ્યાજખોરો ફૂલ્યાફાલ્યા છે,જેની પાસે નાણા ધીરધારનંં કોઈ લાયસન્સ ના હોવા છતાં કોઈની મજબુરીનો લાભ લઈને તેની પાસેથી મસમોટી રકમના વ્યાજ મેળવે છે,આવી જ એક ઘટના જામનગરના સાધનાકોલોની વિસ્તારમાં સામે આવી છે,જેમાં વ્યાજના વિષચક્રમા ફસાયેલા એક યુવકે થોડાદિવસો પૂર્વે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો,જેનું સારવાર દરમિયાન મોત નીપજતા તેની સ્યુસાઈડ નોટને આધારે ત્રણ ઇસમો સામે પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુન્હો દાખલ કર્યો છે,
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા અને નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા રવિ નરેન્દ્રભાઇ ભોજવાણી નામના ૩૫ વર્ષીય યુવાને ગત તા.૧ ના રોજ ઘરે એકલો હતો ત્યારે ઝેરી દવા પી જતા તેને તાકીદે સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,જયાં લગભગ ચૌદ દિવસની સારવાર દરમ્યાન તેનુ શુક્રવારે બપોરે મૃત્યુ નિપજયુ હતુ.
મૃતકના કબજામાંથી તેણે લખેલી મનાતી એક કથિત સ્યુસાઇડ નોટ મળી આવી છે.જેમાં ત્રણ શખ્સના ત્રાસથી આ પગલુ ભર્યાની કેફિયત લખાયેલી છે,મૃતક યુવાને અગાઉ આશરે એક લાખ રૂપિયા ત્રણ શખ્સો પાસેથી લીધા હતા,જેની ચુકવણી બાદ રાક્ષસી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાથી આ પગલુ ભરી રહયાનો ઉલ્લેખ પણ કથિત નોટમાં લખેલો જોવા મળ્યો હતો.મૃતકના ભાઇ કમલેશ નરેન્દ્રભાઇ ભોજવાણીની ફરીયાદ પરથી પોલીસે લાલો સ્વામી,રાજુભાઇ અને લાલો માંધો સામે આપઘાતની દુષ્પ્રેરણા,નાણા ધીરધાર સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધીને વધુ તપાસ SOG ને સોંપવામાં આવી છે.