Mysamachar.in:જામનગર
જામનગરના મહારાજા અને મહારાણીએ આયુર્વેદ માટે એક સ્વપ્ન સેવેલું અને ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી નામની સંસ્થા ઇ.સ.1940 માં સ્થાપી અને ઇ.સ.1944 માં રૂ.60 લાખના ખર્ચે ધન્વન્તરિ મંદિર નામનું ભવ્ય બિલ્ડીંગ બંધાવ્યું હતું. ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી દ્વારા એ સમયના સર્જન ડૉ. પી.એમ.મહેતા દ્વારા ચરક સંહિતાને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ કરી 6 વોલ્યુમમાં પ્રગટ કરેલા. ઇ.સ.1946માં જામનગર ખાતે શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયની સ્થાપના સોસાયટી દ્વારા કરવામાં આવેલ અને વેદ્ય શ્રી યાદવજી ત્રિકમજીને પ્રથમ આચાર્ય તરીકે નિમેલ ઇ.સ. 1954 માં ભારત સરકાર દ્વારા સંશોધનોના કાર્ય માટે સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ઑફ રિસર્ચ ઇન ઇન્ડિજીનીયસ સિસ્ટમ ઑફ મેડિસિન ની સ્થાપના કરી. જેમાં ડૉ. પી.એમ.મહેતાની નિયામક તરીકે નિમણૂંક કરેલ,
ઇ.સ. 1956 માં ભારત સરકાર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેનિંગ સેન્ટર ઑફ આયુર્વેદ (IPGT&RA) ની સ્થાપના કરી વૈદ્ય ભાસ્કર વી. ગોખલેને આચાર્ય તરીકે નિમણૂંક આપેલ ઇ.સ.1963 માં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ફોર રિસર્ચ એન્ડ ઇન્ડિનીજીયસ સિસ્ટમ ઑફ મેડિસિન, પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેનીંગ સેન્ટર ફોર આયુર્વેદને એક સાથે ભેળવીને ઇન્સ્ટિટયૂટ ફોર આયુર્વેદિક સ્ટડીઝ એન્ડ રીસર્ચની સ્થાપના કરેલ.
ગુજરાત રાજ્ય દ્વારા વિધાનસભામાં તા.17-12-1965 ના રોજ વિધેયક મંજુર કરી ગુજરાત રાજ્યની અંદર જુદાં જુદાં સ્થળોએ આવેલી જુદી જુદી કોલેજોને જોડાણ આપી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના જામનગર ખાતે મુખ્ય મથક રાખીને કરવામાં આવેલ.ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તા.5-1-1967 નાં રોજ ઇન્સ્ટિટયૂટ ઑફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચીંગ એન્ડ રીસર્ચને ફેકલ્ટી તરીકે તથા ગુજરાત રાજ્યની અંદર આવેલી બીજી કોલેજોને સંલગ્ન કોલેજો તરીકે જોડાણ આપી અસ્તિત્વમાં આવેલ. ઇ.સ.2020માં ભારત સરકાર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેનીંગ સેન્ટર ફોર આયુર્વેદમાં ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, ઇન્ડિયન ઇનસ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ સાયન્સીસ, એમ.પી.વાય.એન.આર ને ભેળવીને નેશનલ ઇમ્પોર્ટસ આપીને ઇન્સ્ટિટયૂટ ફોર ટ્રેનિગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાઓ જુલાઈ, 2020થી ITRA અંતર્ગત સમાવાઈ છે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એકટ-1965 રદ કરીને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એકટ-2021 તા.06-04-2021થી અમલમાં આવેલ છે,ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 28મો પદવીદાન સમારોહ ગુજરાત રાજયના રાજયપાલ અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષે તા.25 માર્ચ, 202૩ના રોજ ધન્વન્તરી ઓડીટોરીયમ ખાતે સવારે-11 કલાકે યોજાનાર છે. આ પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ભારત સરકારનાં રાજયકક્ષાના આયુષ મંત્રી મહેન્દ્રભાઇ મુજપરા તેમજ ગુજરાત રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.
પદવીદાન સમારોહમાં આયુર્વેદના સ્નાતકો,અનુસ્નાતકો પી.એચ.ડી સ્કોલર્સ, ડીપ્લોમાં વગેરે મળીને કુલ અંદાજીત 396 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. તેમજ 66 ગોલ્ડ મેડલ અને 56 સિલ્વર મેડલ એનાયત કરવામાં આવનાર છે.આ ઉપરાંત આયુર્વેદ ક્ષેત્રની નામાંકીત વ્યક્તિની સેવાઓને ધ્યાને લઇ તેઓને ડી.લીટ ની પદવી એનાયત થશે. તદઉપરાંત રાજયની અન્ય યુનિવર્સિટીઓ સાથે આયુર્વેદ શિક્ષણ અને સેવાના પ્રચાર પ્રસાર અર્થ MOU હાથ ઘરવામાં આવશે. આઠ વર્ષ બાદ મોટા પાયે પદવીદાન સમારોહ થતું હોય, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આયુર્વેદ સાથે સંકળાયેલા સહુકોઇમાં આનંદની લહેર પ્રસરી રહી છે.