Mysamachar.in:જામનગર
જામનગરમાં 1404 આવાસોનો પ્રશ્ન લાંબા સમયથી વિવાદમાં હતો. હવે કોર્પોરેશનની આખરી નોટિસ અને તે પછી ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા રિ-ડેવલપમેન્ટ પોલિસીની જાહેરાતને પગલે આ મામલો નિર્ણાયક દિશા તરફ આગળ વધ્યો છે. આજે સ્ટેન્ડિંગ કમિટીએ આ મુદે એક નિર્ણય લીધો છે. કમિટી ચેરમેન મનિષ કટારિયાનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવેલ છે કે, રાજય સરકારની રિ-ડેવલપમેન્ટ પોલિસીનો 1404 આવાસોનાં કેસમાં અમલ કરાવવામાં આવશે.
આ આવાસોનાં સ્થાને ખાનગી પાર્ટી નવા ફ્લેટ બનાવશે. જેમાં હાલનાં ફલેટ કરતાં વધુ 40 ટકા જગ્યા આપવામાં આવશે. અને જયાં સુધી નવા ફ્લેટનો કબજો આપવામાં ન આવે ત્યાં સુધી ફલેટમાલિકોને સરકારની નીતિ મુજબ ઘરભાડું પણ આપવામાં આવશે. કમિટીએ જૂના આવાસોનાં સ્થાને પુન:નિર્માણ / પુન: વિકાસ અંગે સરકારની ગૃહનિર્માણ નીતિ મુજબ PPP ધોરણે રિ-ડેવલપમેન્ટ કરી, EWS-1 પ્રકારનાં નવા આવાસો બનાવવા અંગે સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો છે.
હાલમાં 1404 આવાસ યોજનાનાં ફ્લેટનાં ધારકો આ ફ્લેટ ખાલી કરી અન્યત્ર રહેવા જઈ રહ્યા છે અને પોતાના ફ્લેટનો કબજો કોર્પોરેશનને સોંપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 2018ની સાલથી કોર્પોરેશન આ આવાસધારકોને ફ્લેટ ખાલી કરી આપવા નોટિસો આપી રહ્યું હતું. હવે આ વાત ખીલે બંધાવા પામી હોય, આગામી સમયમાં આ નબળાં આવાસધારકો નવા અને મોટાં આવાસોમાં રહેવા સદભાગી બની શકશે.