Mysamachar.in- જામનગર:
મોરબીમાં કાલે રવિવારે ઝૂલતો પુલ તૂટી પડવાની અતિ દુઃખદ દુર્ઘટનામાં જામનગરનાં પણ 10 લોકોનો ભોગ લેવાયો હોવાનું જિલ્લા સત્તાવાળાઓ એ જાહેર કર્યું છે. જેમાં જાલિયાદેવાણી અને ખરેડીનાં ગ્રામજનોનો સમાવેશ થાય છે. જામનગરમાં ડિઝાસ્ટર રિસ્પોન્સ કંટ્રોલ રૂમ દ્વારા આજે સોમવારે જાહેર કરવામાં આવ્યું છે કે, મોરબીની હોનારતમાં જામનગર જિલ્લાના 10 ગ્રામજનોનો ભોગ લેવાયો છે. કંટ્રોલ રૂમ જણાવે છે કે, ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણીના જાડેજા પરિવારનાં 7 સભ્યોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે. આ કમનસીબ મૃતકોમાં કિરણબા પ્રતાપસિંહ જાડેજા (30)- શિવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (09)- જયાબા ગંભીરસિંહ જાડેજા (55)- અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ જાડેજા (26)- ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (07)- દેવાંશીબા પ્રતાપસિંહ જાડેજા (06) અને દેવર્ષિબા પ્રતાપસિંહ જાડેજા (05) નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જિલ્લા કંટ્રોલ રૂમ, જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ હોનારતમાં કાલાવડ તાલુકાના ખરેડીનાં ત્રણ લોકોનો પણ જીવ ગયો છે. નાનાં એવાં ખરેડીમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જો કે ખરેડીનાં આ ત્રણ મૃતકોના નામો જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી. અન્ય સૂત્રો જણાવે છે કે, ખરેડી નાં જે ત્રણ વ્યક્તિનો ભોગ લેવાયો છે તેઓનાં નામો નસીમબેન બાનવા (33)- નવાઝ બાપુશા બાનવા(10) અને તમન્ના બાપુશા બાનવા (08). છે.